આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૪
સરદાર વલ્લભભાઈ


“સ્વાતંત્ર્યના સંગ્રામનોના વ્યૂહ રચવાના પ્રારંભિક પગલા તરીકે અને કૉંગ્રેસની નીતિ પોતાના બદલાયેલા ધ્યેયને બને તેટલી અનુરૂપ બનાવવાના હેતુથી આ કૉંગ્રેસ, કૉંગ્રેસીઓને અને રાષ્ટ્રીય હિલચાલમાં ભાગ લેતા બીજાઓને સૂચવે છે કે તેમણે ભાવી ચૂંટણીઓમાં સીધી કે આડકતરી રીતે ભાગ ન લેવો અને જે કૉંગ્રેસી ધારાસભામાં તથા તેની કમિટીઓમાં કામ કરતા હોય તેમને ફરમાન કરે છે કે તેમણે પોતાની જગ્યાઓનું રાજીનામું આપી દેવું.
“આ કૉંગ્રેસ પ્રજાને અપીલ કરે છે કે તેણે કૉંગ્રેસનો રચનાત્મક કાર્યક્રમ આગળ ધપાવવો અને મહાસમિતિને સત્તા આપે છે કે જ્યારે તેને યોગ્ય લાગે ત્યારે અમુક પસંદ કરેલાં ક્ષેત્રોમાં અથવા બીજે જરૂર જણાય તો ત્યાં પોતાને આવશ્યક લાગે એવી સાવચેતી રાખીને તેણે કાયદાના સવિનય ભંગની તથા નાકરની લડતો શરૂ કરવી.”

આમ લાહોરની કૉંગ્રેસમાં રણદુંદુભિ વાગ્યાં. જે મહાન જંગમાં સર્વસ્વનો ભોગ આપી ઝંપલાવવાનું હતું તેની એક સૂચક પૂર્વતૈયારી તરીકે સરદારે પોતાનું અમદાવાદનું ઘર કાઢી નાખ્યું. એ ઘર હતું તો ભાડાનું જ, માલકીનું નહોતું; પણ તેય કાઢી નાખી તેઓ અનિકેત બન્યા અને સારા હિંદુસ્તાનને પોતાનું ઘર માન્યું. બારડોલી સત્યાગ્રહની લડત પછી બારડોલી આશ્રમ પ્રત્યે તેમની વિશેષ મમતા બંધાઈ હતી. એટલે ગુજરાતમાં હોય ત્યારે બારડોલી આશ્રમને પોતાનું રહેવાનું મુખ્ય સ્થાન રાખતા. ’૩૦ ના આરંભથી તે ’૩૪ ની આખર સુધીનાં લડતનાં પાંચ વરસ તો સરકારની જેલ જ ઘર બની ગયું હતું. તે વખતે બારડોલી આશ્રમ પણ સરકારને કબજે પડ્યો હતો. પછીથી સરદારનું ગુજરાતમાં રહેવાનું ઓછું થતું ગયું અને સારા દેશમાં ફરવાનું આવી પડ્યું.