આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સરદાર વલ્લભભાઈ


વલ્લભભાઈ : “ગેટે થયો એટલે આઘાત પહોંચ્યો. હું હોઉં તો એને ડામ દઉં, અને કહું કે તારી બુદ્ધિ નાઠી છે અને તે ડામ દીધે જ ઠેકાણે આવશે.”

તા. ૨૪-૬-’૩૨ : મેજરને બાપુએ પૂછ્યુ: “કેદીની તબિયતની ખબર ન લખી શકાય એવો કાયદો છે શું ?”

મેજર કહે : “હા, તમારા જેવાને વિષે લોકો ગમે તે માનીને ચિંતા કરવા માંડે. તમને ઝાડા થયા છે એ ખબર બહાર પડે તો અહીં ઢગલો માણસો તપાસ કરવા આવે.”

વલ્લભભાઈ : “ઑર્ડિનન્સ કઢાવો કે ગાંધીની કોઈએ ખબર કઢાવવી નહીં.”

બાપુ કહે : “ખરા ખબર આપવાથી તો ઊલટી ખોટી ખબર ફેલાતી અટકે.”

મેજર : “ખરી ખબર અમે આપીએ છીએ. અને કોઈ માણસ માંદો હોય તો તાર કરીએ છીએ.”

જેલર : “પેલો છોકરો મરી ગયો તેને વિષે ટેલિફોન કર્યો હતો.”

બાપુ : “એટલે ગંભીર માંદગી થાય ત્યાં સુધી તમે રોકાઓ.”

વલ્લભભાઈ : “એ તો મરી જશે એવો ભય પેદા થાય ત્યારે જ ખબર અપાય એવું હશે.” મેજર ચિડાયો.

તા. ૩૦-૬-’૩૨ : આજે અલ્લાહાબાદની હાઈકોર્ટમાં એક રામચરણ નામના બ્રાહ્મણ જમીનદારને એક ધોબણનું ખૂન કરવા માટે પાંચ વર્ષની સજા થઈ એમ વાંચવામાં આવ્યું. હકીકત એવી બનેલી કે એ જમીનદારે ધોબણને કપડાં લઈ જવા કહ્યું. તેણે સામે જવાબ વાળ્યો કે હું સાંજે કપડાં લેવા આવીશ. એટલે પેલાએ એને ગડદાપાટુ માર્યાં. બીજી બાઈ મદદે આવી તેને તમાચો માર્યો. તેનો વર આવ્યો તેના હાથમાંથી લાકડી લઈ તેને મારી. છેવટે ત્રીજી એક પચાસ વર્ષની બાઈ આવી તેને લાતો મારી. તેની તલ્લી તૂટી અને તે તત્ક્ષણ મરી ગઈ. એટલે ભાઈસાહેબ ભાગ્યા. આજકાલ એવા કેદીઓને છોડવામાં આવે છે, અને આપણા માણસોને સારી પેઠે સજા થાય છે. એ ધ્યાનમાં લઈને બાપુ કહે: “એને પાંચ વર્ષની સજા છે. પણ એ પાંચ માસ પણ નહીં રહે. કહેશે કે હું વફાદારી સભા કાઢીશ; કિસાનોની પાસે પૈસા ભરાવીશ; સવિનયભંગની લડતને દાબી દેવામાં મદદ કરીશ; એટલે એને છોડી દેશે.”

એટલે વલ્લભભાઈ કહે: “એણે બચાવમાં એ નહીંં કહ્યું કે, આ બાઈ સ્વરાજની લડતમાં ભળેલી હતી. ખાદી સિવાય બીજાં કપડાં ધોવાને ના પાડતી હતી, અને મારી સામે આ ખોટો આરોપ ઊભો કર્યો છે !”

તા. ૬-૭-’૩૨ : આજે ‘હિંદુ’માં રંગાચારીનું એક નિવેદન આપ્યું. તેમાં ગોળમેજીમાં ગયેલા વિનીતોની સામે આકરી ટીકા હતી. પૅટ્રોએ પણ લખ્યું હતું કે ગાંધીની સાથે સહકાર કર્યા વિના કોઈ પણ રીતે નવું બંધારણ ન થઈ શકે. મેં બાપુને પૂછ્યું: “આ રંગાચારી અને પૅટ્રો આજે કેમ એકાએક જાગ્યા?”

બાપુ કહે : “રંગાચારી તો એ જાતનો છે જ. બહાદુર માણસ તો છે જ. બાકી રંગાચારી અને પૅટ્રો બંનેને કાંઈક નિરાશા થયેલી હશે એટલે આટલું બોલી ઊઠ્યા છે.”