આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સરદાર વલ્લભભાઈ

વલ્લભભાઈએ ઠીક કહ્યું: “બાપુ આશા રાખે એવી કાયાપલટ તો અસાધારણ માણસની થાય. એને માટે સંસ્કાર જોઈએ. શલ્યાની અહલ્યા થઈ એ વાત સાચી. પણ એને માટે પ્રથમ અહલ્યાની શલ્યા થવાની જરૂર હતી ના? માણસ પોતાના પાપે પ્રજળીને પથરો અથવા કોયલો થઈ જાય તો પછી તેને કોઈ સાધુના ચરણસ્પર્શે હીરો બનવાની આશા રહે. નહીં તો કોઈને પણ સ્પર્શ એને કશું ન કરી શકે.”

જમનાદાસની માફી પછી આજે સેતલવાડને શૂર ચડ્યું છે અને એ બાપુને ઉપદેશ સંભળાવે છે કે રાજ્યપ્રકરણમાં તમને ગમ ન પડે. તમે તો આ ભંગીઉદ્ધારનું કામ બેઠાં બેઠાં કર્યા કરો.

વલ્લભભાઈ કહે: “આજે રાજાજી અને દેવદાસ આવે છે તેને કહેજે કે તમે દિલ્હી ગયા તેનું પરિણામ એટલું અવશ્ય આવ્યું છે કે જમનાદાસે માફી માગી, સેતલવાડે આ ઉપદેશવચનો બહાર પાડ્યાં, અને બીજાં નિવેદનો હજી નીકળશે.”

તા. ૫-૩-’૩૩ : જમનાદાસના નિવેદનમાં અને તેણે આપેલી બાંયધરીમાં રહેલી ‘બહાદુરી’નાં ‘સોશિયલ રિફૉર્મર’ અને ‘ક્રૉનિકલ’ વખાણ કરે છે.

વલ્લભભાઈ કહે: “હવે તો બહાદુર ગણાવું હોય તો માફી માગીને બહાર નીકળો. અહીં અંદર પડ્યા રહેશો તો બાયલા ગણાઈ જશો.”

તા. ૧૩-૩-’૩૩ : સાંજે વાતો કરતા હતા ત્યારે અદ્ભુત સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. બાપુ કહે: “જુઓ તો ખરા !”

વલ્લભભાઈ કહે: “અરે ! એમ આથમતા સૂરજને શું જુઓ છો ? ઊગતાને ભજવો જોઈએ.”

બાપુ: “હા, હા. એનો એ જ નાહીધોઈને કાલે સવારે પાછો આવીને ઊગશે, એટલે પાછા એને જ પૂજીશું.”

તા. ૧૭-૩-’૩૩ : દૂરબીન બતાવવાને માટે આકાશશાસ્ત્રીઓને સંધ્યા પછી આવવાની વિનંતી કરી હતી તે ન સ્વીકારાઈ. એ લોકોએ ઑફિસના વખત દરમ્યાન આવવું જોઈએ એ ભાવ હતો એમ માનીને બાપુએ બીજો કાગળ લખ્યો છે.

વલ્લભભાઈનો એના ઉપર વિનોદ : “દિવસ છતાં આવવાનું એટલું જ છે ના? તો પછી ભલે એ લોકોને દિવસ છતાં દાખલ કરે. બહાર ક્યારે કાઢવા એ વિષે તો કાંઈ નિયમ નથી ના ? અને રાતે બહાર ન કાઢી શકતા હોય તો સવાર સુધી ભલે રાખતા.”

તા. ૨૦-૩-’૩૩ : સાંજે શ્વેતપત્રની તોફાન કરવાની શક્તિની વાત કરતાં બાપુ કહે: “છતાં મને લાગે છે કે એમાં જવું પડશે. જુઓ, આપણે બધા પક્ષને એક કરી શકીએ તો દેશી રાજ્ય કશું જ ન કરી શકે. બધા પક્ષો મુસલમાન, અંત્યજ વર્ગો અને બીજા હિંદુઓ એક થાય તો તો આપણે એ લોકોને હંફાવી શકીએ. જોકે તોપણ સવિનયભંગ કરનાર એક પક્ષને રાખવો જોઈએ. એક પક્ષ સવિનયભંગ કરે અને એક પક્ષ ધારાસભામાં જાય. જેમ દક્ષિણ