આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
વત્સલ હૃદય
છૂટશે. એટલે હવે બધાં પાછાં ઘર ભેળાં થશે. હવે પાછા જવાપણું તો રહેતું નથી, એટલે શું કરવું તેનો વિચાર કરી રહ્યા છે. ચંદુભાઈ ભરૂચ છે. જયરામદાસ મજામાં છે. પણ એમને હરસ થયા છે. બહારથી ફળ મંગાવીને ખૂબ ખાવાં જોઈએ. તો સારું થાય. મેં પ્રેમી (જયરામદાસની દીકરી)ને લખ્યું છે. મને પણ અહીં આવ્યા પછી બે ત્રણ દિવસ ખૂબ લોહી પડ્યું હતું. પછી ખૂબ ફળ ખાવા માંડ્યાં એટલે બંધ થઈ ગયું. હજી પણ પુષ્કળ ફળ અને શાકનો ઉપયોગ કરું છું. એથી મુશ્કેલી પડતી નથી.”

મણિબહેનને તબિયત સાચવવા અને મનને પ્રફુલ્લિત રાખવા એ જ કાગળમાં સલાહ આપે છે :

“મન પ્રફુલ્લિત રાખતાં આવડે તો શરીર સામાન્ય રીતે સારું રહે છે. પણ મનમાં ઉદાસ બનાવનાર તર્ક વિતર્ક આવ્યાં કરે તો એની માઠી અસર શરીર ઉપર થયા વિના રહેતી નથી. જો ભજનમાં મન પરોવી શકાય અને એમાં આનંદ આવે અને બહારની દુનિયામાં શું થાય છે કે થશે તેની જરાયે પરવા ન કરીએ તો દિવસો ખૂબ આનંદમાં જાય. કેટલાંક મનગમતાં ભજનો કંઠે કરી લીધાં હોય તો પછી મોજથી ગમે ત્યારે એનું રટણ કરી શકાય. રાત્રે ઊંઘ બરાબર આવવી જોઈએ. જો ઊંઘ સારી આવે તો કશી મુશ્કેલી ન આવે. અંદરના કરતાં હમણાં તો બહારની મુશ્કેલીઓનો પાર નથી. બાપુના છેલ્લા ફતવાથી શી પરિસ્થિતિ થઈ છે તે હજી ચોક્કસ ખબર પડી નથી. થોડા વખતમાં પડશે. એ કંઈ ઢાંક્યું થોડું રહેવાનું છે ? જે થાય તે આપણને તો સરખું જ છે:

તા. ૩૦–૪–’૩૪ના કાગળમાં પણ કાર્યકર્તાઓના ખબર અંતર લખે છે:

“ઉત્તમચંદ અને સંતોક અમદાવાદ ગયાં છે. સંતોકના ગળાના કાકડા કાલે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ડૉ. પટેલ પાસે કપાવ્યા છે. સારાભાઈને ત્યાં ઊતર્યાં છે. સાથે ઉત્તમચંદના ભાઈની ચૌદ વર્ષની છોકરી કેસર છે. ભાઈ ક્યાંક બીજવર સાથે પરણાવી દેવાનું કરતા હતા. ઉત્તમચંદ વખતસર જઈ પહોંચ્યા એટલે અટક્યું છે. છોટુભાઈ મોટરવાળા, એની વહુ અને છોકરો બધાં ઉભરાટ ગયાં છે. એકાદ મહિનો રહેશે. ઉભરાટ મરોલીથી વીસ માઈલ દૂર દરિયાકાંઠે છે. ગાયકવાડી ગામ છે. ત્યાં ગાયકવાડે કંઇક મકાનો બંધાવ્યાં છે એમાં રહેવાનું છે. વેડછીવાળા ચુનીભાઈ, સૂરજબહેન તથા ગોરધનબાબો અને કેશવભાઈ પણ ત્યાં ગયાં છે. ઉત્તમચંદ અને સંતોક આવતે અઠવાડિયે ત્યાં જશે. હમણાં બધાં માંદાં અને ભાંગલાં થયાં છે તે ત્યાં આરામ લઈ રહ્યાં છે. મહિના પછી છોટુભાઈ મોટર લઈને બારડોલીમાં મંજુબહેન પાસે પહોંચી જવાનો છે. મંજુબહેન કડોદમાં શાખા કાઢવાનાં છે. અઠવાડિચામાં બે દિવસ ત્યાં જવાનું રાખશે. મંજુ અત્યારે આખા દિવસમાં છ કેળાં અને એક રતલ દૂધ એટલું જ લે છે. મેં એને દૂધ ખૂબ વધારવા લખ્યું છે. રસોઈ તૈયાર મળે તો ખાય ખરી. પણ હમણાં સગવડ નથી. પાછું બધું રાગે પડી જાય ત્યારે થઈ શકે. થોડા દિવસ પછી શું થાય છે તે જોઈશું. કિશોરલાલ હજી દેવલાલીમાં જ છે. કોઈ દાક્તરનાં ઈંજેક્શન લેવાં શરૂ કર્યાં છે. ફાયદો થશે તો ચોમાસું ત્યાં જ કાઢશે એમ કહે છે. વિદ્યાપીઠવાળા નગીનદાસ પણ ત્યાં આવ્યા છે. વિસાપુરથી ખોખરા થઈને