આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સરદાર વલ્લભભાઈ
આવ્યા છે. તબિયત સુધારવા એક મહિનો રહેવાના છે. વિસાપુરમાં બધા સારા છે. માત્ર જુગતરામ બહુ સુકાઈ ગયા છે, એમ ઉત્તમચંદ લખતો હતો. ભાસ્કર હજુ તો અમદાવાદમાં જ છે. શાંતા પણ ત્યાં જ છે. મંગળા મૅટ્રિકની પરીક્ષામાં બેઠી છે. રવિશંકર છૂટીને રાસ જઈ આવ્યા. લોકો ખૂબ દુઃખી થઈ ગયા છે. કેટલાક થાક્યા છે. હેરાનગતિ પાર વિનાની છે. પણ આશાભાઈ બહુ બહાદુરી બતાવી રહ્યો છે. બાપુને મળવા જવાનો છે. તે પછી શું કરવું એનો નિર્ણય કરીને મને લખશે.
“બલ્લુભાઈએ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે સારી ખ્યાતિ મેળવી લાગે છે. દાદા તો હજી રત્નાગિરિ જ પડ્યા છે. એમનું તો હવે બધાની સાથે જ નક્કી થઈ જવાનું. એમને તો ત્યાં વેરભાવે ભગવાન મળ્યા જેવું થયું છે. ત્યાં રહેવાથી તબિયતમાં સારો સુધારો થયો હોય એમ જણાય છે. અમદાવાદ શરીર બહુ બગડી ગયું હતું. અને વધારે બગડે એવો સંભવ હતો. એટલામાં જવાનું થયું. એટલે એક રીતે તો સુખી થયા ગણાય.”

ગુજરાતના એક બહુ જૂના કાર્યકર્તા ફૂલચંદ બાપુજી શાહ વિસાપુર જેલમાંથી છૂટ્યા પછી થોડા વખતમાં ગુજરી ગયા, તેમને વિષે એ જ કાગળમાં લખે છે :

“ગયે અઠવાડિયે બિચારા ફૂલચંદ બાપુજી ગુજરી ગયા. બહુ ભલા માણસ હતા. જૂનામાં જૂના કામ કરનારા હતા. સાધારણ સ્થિતિમાં અથવા ગરીબ સ્થિતિમાં હોવા છતાં આખી ઉંમર દેશસેવામાં જ ગાળી. ખેડા જિલ્લામાં એની જગ્યા લેનાર કોઈ નથી. એનું મરણ પણ બહુ ભારે થયું ગણાય. આગલે દિવસે નરસિંહભાઈ પટેલ પાસે આણંદ ગયા હતા. વિઠ્ઠલ સ્મારક સમિતિના બેઉ મંત્રી છે. સાંજ સુધી આણંદ રહ્યા. બીજે દિવસે સમિતિની મીટિંગ નડિયાદમાં કરવાનું ઠરાવીને પાછા નડિયાદ ગયા. સાંજે ઘેર જઈને રાત્રે બાર વાગ્યા સુધી પડોશી સાથે ખૂબ વાતો કરી. પછી ઘરમાં જઈ અગાસીમાં સૂઈ ગયા. ઘરમાં કોઈ જ ન મળે. સાવ એકલા. છોકરો અમદાવાદ માંદો હતા તેથી એમનાં વહુ છોકરાની સારવાર માટે અમદાવાદ ગયાં હતાં. ગોકળદાસ તલાટી એમના ઉંમરભરના સાથી તે પણ તે જ દિવસે મુંબઈ ગયેલા. દાદુભાઈ સમિતિના પ્રમુખ છે તે પણ મુંબઈમાં. ફૂલચંદભાઈ રાત્રે બાર વાગ્યે પથારીમાં સૂતા એ સૂતા. પછી ઊઠ્યા જ નહીં. સવારે સમિતિનો પટાવાળો આઠ વાગ્યે ઘેર આવ્યો તોયે ઊઠેલા નહીં, એટલે પડોશીને પૂછ્યું. પછી બધાં ઘરમાં દાખલ થયાં. અગાસીમાં સૂતેલા જોયા. ડૉક્ટરને બોલાવ્યો. ડૉકટરે કહ્યું કે હૃદય બંધ પડવાથી ગુજરી ગયેલા છે. રાત્રે પ્રાણ ચાલી ગયો. કોઈ પાસે ન મળે. કોઈને ખબર પણ ન પડી. નરસિંહભાઈ સવારે આણંદથી નીકળી નવ વાગ્યે નડિયાદ આવ્યા, ત્યારે સ્ટેશન ૫૨ જ સમાચાર મળ્યા કે ફૂલચંદભાઈ તો ચાલી ગયા. બિચારા એ તો છેક જ હેબતાઈ ગયા. પણ શું કરે ? એમના આમ એકાએક ચાલી ગયાના સમાચાર જાણ્યા ત્યારે મને પેલું ભજન યાદ આવ્યું:

કોનાં છોરુ, કોનાં વાછરુ, કોનાં મા ને બાપજી,
અંતકાળે જવું એકલા, સાથે પુણ્ય ને પાપજી.