આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
સરદાર વલ્લભભાઈ
મુંબઈમાં પડ્યા છે. મૃદુલા પણ રાંચી ગઈ હતી. ત્યાંથી માથેરાન ગયેલી. તે પાછી અમદાવાદ પહોંચી ગઈ છે. અમદાવાદમાં સ્ત્રીઓની કાંઈક સંસ્થા તેણે કાઢી છે. બાપુનો નિર્ણય તેને પસંદ ન પડ્યો હોય એમ બને. પણ હવે તો શાંત થઈ ગઈ લાગે છે. રાંચી જઈ આવ્યા પછી એના મનનું સમાધાન થઈ ગયું હશે.
“રાસવાળાને પાકું દુઃખ છે. પેલો નડિયાદવાળો ઇસ્માઈલ ગાંધી મુસલમાનોની ટોળી કરી જમીનો રાખી લઈને પડ્યો છે. ખેતરમાં તંબુ નાખ્યા છે અને હથિયારના પરવાના લીધા છે. તોફાની ટોળું રહ્યું એટલે ખેડૂતોને ખૂબ ડરીને રહેવાનું રહ્યું. રાસવાળો આશાભાઈ બહુ ભારે હિંમત બતાવી રહ્યો છે. રવિશંકર આવી ગયાથી એને ખૂબ હૂંફ મળી છે. ચંદુભાઈ પણ ઠીક મદદ કરી રહ્યા છે. પણ કામ બહુ ભારે છે. કેમ પહોંચી વળવું એ સવાલ છે. ગામ છોડીને જવાનું રહ્યું. હવે ગામમાં રહે પોસાય તેમ નથી. બધી જમીન ગઈ છે અને ખેડવા તો જોઈએ. નહીં તો પૂરું શી રીતે થાય ?
“મુંબઈમાં મિલમજૂરો હડતાલ પાડી બેઠા છે. અમદાવાદમાં પણ એક વખત તો બીક જેવું લાગતું હતું. પણ હમણાં ત્યાં કંઈ થાય એમ લાગતું નથી. મૃદુલાનો કાગળ હતો કે મજૂરોના નેતાઓ (શંકરલાલ બૅંકર અને અનસૂયાબહેન) માથેરાન છે, એટલે તમારે હડતાલ પડે એની કશી ચિંતા ન રાખવી. મુંબઈના કેટલાક અમદાવાદ પહોંચી ગયા છે, અને મજૂરોમાં પ્રચાર કરે છે. પણ ત્યાં મજૂર મહાજન સિવાય બીજા કોઈનો પગપેસારો થાય એવું લાગતું નથી.
“દાદા (માવલંકર) હજુ રત્નાગિરિમાં જ છે. એમનાં મા અને કમુ ત્યાં ગયાં છે. દાદાને મેં કમુ વિષે સૂચનાઓ મોકલી હતી. હવે રોજ સાથે ફરવા લઈ જાય છે. ખોરાક બહુ થોડો લેતી હતી. શરીર નાજુક બનાવવું હોય તો થોડું ખાવું જોઈએ એવું એને અમદાવાદમાં કોઈ છોકરીએ શીખવ્યું હતું. તેથી અડધી ભૂખે મરતી હતી. હવે ઠીક ખોરાક લે છે. એટલે શરીર સારું થયું છે. દાદાને ૨ત્નાગિરિથી ખૂબ ફાયદો થયો.
“આપણા ઑફિસવાળા કુષ્ણલાલનો છોકરો નરેન્દ્ર બી. એસસી. ની પરીક્ષામાં સેકન્ડ ક્લાસમાં પાસ થયો. સારું થયું. ગરીબ માણસ છે. છોકરો કમાતો થાય તો ઘરનું ઠીક ચાલે. છોકરો બહુ સારો છે. અભ્યાસ ઠીક કર્યો કહેવાય.”

તા. ૩૦–૫–’૩૪ના કાગળમાં કાર્યકર્તાઓની આવી જ ચિંતા કરતા જણાય છે :

“ડૉકટર હરિપ્રસાદનો છોકરો વિષ્ણુ ગયે અઠવાડિયે હૃદય બંધ પડવાથી ગુજરી ગયો. ૨૮ વર્ષની ઉંમર હતી. બે મહિનાથી મુંબઈ રહેતો હતો. એલ.સી. પી. એસ.ની પરીક્ષા માટે વાંચતો હતો. ખૂબ મહેનત કરી એથી શરીર નબળુ પડી ગયું. પરીક્ષા આપીને ઘરે આવ્યો અને બીજે જ દિવસે ગુજરી ગયો. સારું થયું કે પરણેલો નહોતો. બેત્રણ વર્ષથી ડૉકટર પરણાવવા મહેનત કરતા હતા. એ ના પાડતો હતો. પરીક્ષા થઈ ગયા પછી પરણવાનો વિચાર હતો. ડૉક્ટર તો ગિજુભાઈ (સર ચીનુભાઈ) સાથે ઊટી ગયા હતા. ખબર મળી