આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ


વ્યારા તાલુકામાં એક રાનીપરજ પરિષદ તે અરસામાં જ ભરાઈ હતી. વડોદરા રાજ્યમાં તે વખતે ગણોતનો કાયદો થયો હતો, તેમાં કેટલીક ત્રુટીઓ હતી. એ ત્રુટીઓ બતાવીને શાહુકારો અને ખેડૂતોનો પરસ્પર સંબંધ કેવો હોવો જોઈએ એ વિષે તેમણે જે કહ્યું તે આજે પણ ધ્યાનમાં રાખવા જેવું છે :

“શાહુકારોને કે મોટા ખેડૂતોને અન્યાય થાય નહી અને સાથે સાથે આપણા પોતાના હક જાય નહીં એ રીતે આપણે પ્રયત્ન કરીશું. આટલો વિશ્વાસ આપણે સૌને આપીએ છીએ કે ભલે ગમે તેવી દુર્દશામાં આવી પડેલા હોઈએ, ભલે અમારા ઉપર ગમે તેટલા જુલમો ગુજાર્યા હોય, છતાં અમે કોઈને અન્યાય કરવા ઇચ્છતા નથી, અને વેરવૃત્તિથી કામ લેવા માગતા નથી. પણ તેની સાથે એ પણ જાહેર કરીએ છીએ કે અમે અમારા હક ગુમાવવા ઇચ્છતા નથી. જો કોઈનો ઇરાદો અમારા ઉપર જ કાયમ માટે જીવવાનો હોય તો અમે કહીએ છીએ કે અમે એ સ્થિતિમાંથી નીકળી જવા માગીએ છીએ. જે માણસ બીજાને પોતા પર જીવવા દે છે તે માણસ નહીં પણ જાનવર છે. તેવી સ્થિતિમાંથી આપણે મુક્ત થવું છે. આપણું પોતાનું કલ્યાણ નથી રાજાના હાથમાં કે નથી શાહુકારના હાથમાં. આપણું કલ્યાણ આપણા પોતાના જ હાથમાં છે. તમે જો તમારી જમીનમાંથી જ તમારો ખોરાક પેદા કરી લો અને જિંદગીની બીજી જરૂરિયાતો પણ તમે જ ઉત્પન્ન કરી લો તો જગતમાં તમે સૌથી સુખી થઈ શકો છો. ગાંધીજીએ તમને સંદેશો મોકલ્યો છે તેમાં તેઓ કહે છે કે શહેરો ઉપર ગામડાંનો આધાર નથી પણ ગામડાં ઉપર જ શહેરોનો આધાર છે. તે જ પ્રમાણે શાહુકારો ઉપર તમારો આધાર નથી પણ તમારા ઉપર શાહુકારોનો આધાર છે.”

હવે તે વખતની રાજકીય પરિસ્થિતિનું આપણે જરા વિહંગાવલોકન કરી લઈએ. કૉંગ્રેસે સવિનય ભંગની લડત પાછી ખેંચી લીધી પણ તેથી તો સરકારને પોતાનું દમન ચાલુ રાખવામાં ઉત્તેજન મળ્યું. લડતની મોકૂફીને સરકાર શંકાની જ નજરે જોતી હતી. અને કૉંગ્રેસને તે પોતાની દુશ્મન દેખતી હતી. જૉઈન્ટ પાર્લમેન્ટરી કમિટીના રિપોર્ટને માત્ર કૉંગ્રેસે જ નહીં પણ આખા દેશે વખોડી કાઢ્યો તેથી સરકાર વધારે ચિડાઈ. શાંતિપૂર્વક કાયદા મુજબ કામ કરતા કૉંગ્રેસીઓને પોલીસની પજવણી ચાલુ રહી. પરદેશીઓના કાયદા નીચે ગુજરાતમાં વરસોથી કામ કરી રહેલા કેટલાયે કાર્યકર્તાઓને કાઠિયાવાડમાં મૂકી દઈ બ્રિટિશ હદમાં આવવાની મનાઈ કરવામાં આવી. આમાં ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી શ્રી મણિલાલ કોઠારી મૃખ્ય હતા. તેમને પોતાની તબિયત બતાવવા અમદાવાદ આવવું હતું તે આવવાની પરવાનગી પણ ન મળી. ઈન્ડિયન સિલિયેશન ગ્રૂપના એક મિ. કાર્લ હીથે ગાંધીજી ઉપર કાગળ લખેલો કે હવે હિંદુસ્તાનમાં દમન બિલકુલ રહ્યું નથી, તેના જવાબમાં ’૩૪ના ડિસેમ્બરમાં ગાંધીજીએ લખેલું, તે ધ્યાન ખેંચે એવું છે :