આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
સરદાર વલ્લભભાઈ
લીધું કે તેમની કૉંગ્રેસ પ્રત્યેની વફાદારી એટલી ચુસ્ત નહોતી કે ખરેખરી કટોકટીને વખતે તેમના હાથમાં કૉંગ્રેસનું હિત સલામત ગણાય. ૧૯૩૭માં ધારાસભાઓમાં દાખલ થઈને અને જરૂર પડે તો સત્તા પણ હાથમાં લઈને કૉંગ્રેસ એક તદ્દન નવો અને ભારે જવાબદારીવાળો પ્રયોગ કરતી હતી. એવા નાજુક પ્રસંગે નેતા થવાને મને શ્રી નરીમાન યોગ્ય ન લાગ્યા. જેઓ મને પૂછતા અથવા મારી સાથે મસલત કરતા તેમને હું સ્પષ્ટ કહેતો કે શ્રી નરીમાન કૉંગ્રેસ પક્ષના નેતા થવાને યોગ્ય મને લાગતા નથી. પણ બધા સભ્યોની એમને નેતા ચૂંટવાની ઇચ્છા હોય તો હું તેની સામે વાંધો ઉઠાવીશ નહીં.”

હવે આપણે આ મુદ્દા ઉપર શ્રી બહાદુરજીએ જે ચુકાદો આપ્યો તે જોઈશું. શ્રી નરીમાને ૧૯૩૭ની ઑગસ્ટની ૧૭મીએ તપાસની માગણી કરતા કાગળમાં ગાંધીજીને લખી જણાવ્યું હતું કે બે તદ્દન જુદી જુદી બાબતોની તપાસ કરવાની છે :

(૧) ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણી વખતના મારા વર્તન તથા વલણ બાબત, અને
(૨) ૧૯૩૭ના માર્ચમાં મુંબઈની ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણીમાં સરદારે પોતાની લાગવગ વાપરી અયોગ્ય દબાણ કર્યું કે કેમ, એ બાબત.

“આ બંને મુદ્દા ઉપર પુરાવો આપતાં ઘણાં નિવેદનો અમારી (શ્રી બહાદુરજી અને ગાંધીજી) પાસે આવ્યાં છે. શ્રી નરીમાન તથા સરદાર વલ્લભભાઈને એ નિવેદનો બતાવવામાં આવ્યાં અને તેમને પૂછવામાં આવ્યું કે આ નિવેદન મોકલનારની સરતપાસ કે ઊલટતપાસ તમારે કરવી છે કે કેમ ? બંનેએ તેમ કરવાની ના પાડી છે. એટલે શ્રી નરીમાન તથા સરદારનાં લેખી નિવેદનો તથા એકબીજાને આપેલા જવાબો તથા સાક્ષીઓએ આપેલા નિવેદનો, એટલા પુરાવા ઉપરથી અમારે ચુકાદો આપવાનો રહે છે. મોઢેથી કંઈ દલીલો કરવી હોય તો તે કરવાનું પણ બંને પક્ષને કહેવામાં આવ્યું હતું. સરદારે કશી દલીલ કરવાની ના પાડી. શ્રી નરીમાન મારી રૂબરૂ આવીને પોતાની દલીલો કરી ગયા હતા.
“પહેલા મુદ્દા વિષે આટલી વાત તો નક્કી છે કે, ૧૯૩૪ના જુલાઈની અધવચમાં મુંબઈ પ્રાંતીય પાર્લમેન્ટરી બોર્ડ મુંબઈ શહેર તરફથી ધારાસભાના ઉમેદવાર તરીકે શ્રી નરીમાનને અને ડૉ. દેશમુખને પસંદ કર્યા. એ પસંદગીને અખિલ ભારતીય પાર્લમેન્ટરી બોર્ડે તા. ૨૯મી જુલાઈએ મંજૂરી આપી. મતદારોનાં પત્રકો ૧૯૩૪ના જુલાઈની ૧૪મીએ પ્રગટ કરવામાં આવ્યાં અને તે ઉપર વાંધાઅરજીઓ માગવામાં આવી. સપ્ટેમ્બરની ર૯મીએ મતદારપત્રકો છેવટનાં નક્કી થઈ ગયાં. ૧૯૩૪ના ઑક્ટોબરની ૧લી તારીખે સરકારી ગૅઝેટમાં પ્રસિદ્ધ થયું કે ધારાસભા માટે ઉમેદવારી કરનારે ૧૯૩૪ના ઓક્ટોબરની ૧૧મીએ બપોરે ત્રણ વાગ્યા પહેલાં પોતાનાં ઉમેદવારીપત્રો નોંધાવી જવાં.
“શ્રી નરીમાન મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ હતા. મુંબઈ પ્રાંતની પાર્લમેન્ટરી બોર્ડના ચેરમેન હતા અને મુંબઈ શહેરના કૉંગ્રેસના ઉમેદવાર હતા.