આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
નરીમાન પ્રકરણ — ૨
મેં નિવેદન કર્યું તે પહેલાં મને એક તાર મળેલો, તેનો ભાવાર્થ આવો હતો એટલે મારા રાજદ્વારી મૃત્યુના હુકમ ઉપર મેં સહી કરી. ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણીમાં મારાથી ગફલત થઈ હશે, હું બેદરકાર રહ્યો હોઈશ, અને ઉતાવળમાં મેં કંઈ કરી નાખ્યું હશે. પણ મારી દલીલ એ હતી કે તે વખતે મુંબઈમાં કૉંગ્રેસ ભરાવાની હતી અને સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે તેની તમામ જવાબદારી મારે માથે હતી. એટલે મારે બીજાં તમામ કામો છોડી દેવાં પડ્યાં હતાં. હું ચૂંટણીના કામ પાછળ પણ કશું ધ્યાન ન આપી શક્યો. પણ ચૂંટણીના કામની જવાબદારી તો મારી ગણાય જ, એટલે એ કામ વિષે બેદરકારી રાખીને મેં વિશ્વાસભંગ કર્યો એવું માનવામાં આવ્યું તેને લીધે આ ચુકાદાને મારે સ્વીકારવો પડ્યો. મારા ભવિષ્યના કામ માટે હું કહીશ કે, જે કૉંગ્રેસની મેં આટલી નિમકહલાલીથી સેવા કરી છે, આટલાં વર્ષોથી જેને હું નિષ્ઠાપૂર્વક વળગી રહ્યો છું અને જેને ખાતર મેં મારા સર્વસ્વનો ભોગ આપ્યો છે તેમાંથી મને કાઢી મૂકવાના વ્યવસ્થિત પ્રયત્ન થતા હોવા છતાં એ સંસ્થાને હું છેવટે સુધી વળગી રહેવાનો છું.”

આમ શ્રી નરીમાન નામક્કર ગયા એટલે પોતાનો ચુકાદો વર્કિંગ કમિટીને સોંપ્યા સિવાય ગાંધીજી પાસે બીજો માર્ગ રહ્યો નહીં. કૉંગ્રેસના પ્રમુખ તરીકે પંડિત જવાહરલાલજીને તેમણે કલકત્તામાં તા. ર૪ નવેમ્બરે નીચે પ્રમાણે કાગળ લખ્યો :

“શ્રી નરીમાને તમારી સાથેના તથા મારી સાથેના પત્રવ્યવહારમાં જે બે મુદ્દા જણાવેલા તે ઉપર તપાસ સમિતિએ આપેલો ફેંસલો આ સાથે મોકલી આપું છું. મને લાગ્યું હતું કે આ ફેંસલો બહાર પાડવાને બદલે પોતાનો એકરાર બહાર પાડવાની મારી સૂચના શ્રી નરીમાને સ્વીકારી લીધી એટલે જે તપાસ પાછળ મારે ઘણી જહેમત ઉઠાવવી પડી છે તે તપાસનો અંત આવશે.
“પણ શ્રી નરીમાને પોતાનો એકરાર છાપાં મારફત પાછો ખેંચી લીધો છે એટલે સ્થિતિ બદલાઈ જાય છે. શ્રી નરીમાનના છેલ્લા નિવેદનમાંથી એમના મનની દુઃખદ અવસ્થાનો ખ્યાલ આવે છે. શ્રી નરીમાનની કબૂલાતમાં ઉઘાડું અસત્ય રહેલું છે તે મેં શ્રી નરીમાનને લખેલા મારા કાગળમાં બતાવી આપ્યું છે. હકીકત એ છે કે શ્રી નરીમાને પોતે આ તપાસ માગી લીધી છે. ૧૯૩૪ની મુંબઈની ચુંટણીમાં તેમણે ગંભીર વિશ્વાસભંગ કર્યો એવા સરદાર વલ્લભભાઈ પટેલના આક્ષેપની તપાસ ઇરાદાપૂર્વક તેમણે જ ઇચ્છી છે. તમારી ઉપરના શ્રી નરીમાનના કાગળમાં નીચેનું વાક્ય છે :
“‘આવા સ્વતંત્ર પંચની તપાસના ચુકાદા પ્રમાણે હું રજ પણ ગુનેગાર ઠરું તો તમે અથવા તો બીજા કોઈ અધિકારી જે સજા ફરમાવશો તે હું ખુશીથી સહી લઈશ. પણ તે સાથે જ જો બીજો પક્ષ ગુનેગાર ઠરે તો તેની સાથેના અંગત સંબંધો અથવા તો તેની અંગત પ્રતિષ્ઠાનો જરા પણ વિચાર કર્યા વિના તેને એવી જ સજા ફરમાવવી જોઈશે.’
“મારી ઉપરના કાગળમાં (અત્યારે તેની નકલ મારી પાસે નથી) તેઓ આથી પણ આગળ ગયા છે અને તેમણે કહ્યું છે કે સરદારના આરોપ પ્રમાણે