આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
પાર્લામેન્ટરી કમિટીના ચૅરમૅન

દેશના છ પ્રાંતમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચાઈ ગયા પછી પ્રધાનોને સલાહસૂચના આપવાનું, કૉંગ્રેસની શિસ્ત બરાબર જાળવવાનું, તથા પૂર્ણ સ્વરાજની સિદ્ધિમાં આ હોદ્દાસ્વીકાર મદદરૂપ થાય એ કૉંગ્રેસનો ઉદ્દેશ બરાબર જળવાય છે કે નહીં તે જોવાનું કામ કૉંગ્રેસની કારોબારી સમિતિ ઉપર આવી પડ્યું. પણ આખી કારોબારી સમિતિ બધો વખત આમાં આપી ન શકે, અને કામ એટલું મહત્ત્વનું હતું કે તેના ઉપર સતત દેખરેખની જરૂર હતી, એટલે કારાબારી સમિતિએ પોતાના સભ્યોમાંથી રાજેન્દ્રબાબુ, મૌલાના અબુલ કલામ આઝાદ તથા સરદારની એક નાની સમિતિ આ કામ માટે નીમી. સરદાર એ કમિટીના પ્રમુખ થયા. આ ત્રણ સભ્યને પણ વખતોવખત ભેગા થવાનું મુશ્કેલ થતું. એટલે જુદા જુદા પ્રાંતની દેખરેખ રાખવાનું તેમણે માંહોમાંહે વહેચી લીધું. મહત્ત્વનું કામ હોય ત્યારે ત્રણ સભ્યો ભેગા થઈને નિર્ણય કરતા અને બહુ મહત્ત્વનું હોય ત્યારે તેઓ કારોબારી સમિતિની તથા ગાંધીજીની પણ સલાહ લેતા. વહીવટી કામનો તાકીદે ઉકેલ કરવાની શક્તિ, અટપટા પ્રશ્નોનો નિકાલ કરવાની કુનેહ અને વિશેષ તો માણસોને ઓળખવાની અને તે કેટલા પાણીમાં છે તેનું માપ કાઢવાની અજબ શક્તિને લીધે આ પાર્લામેન્ટરી સબ કમિટીના કામનો મુખ્ય બોજો સરદાર ઉપર જ રહેતો. એ કામ તેમણે એટલી બાહોશીથી, વિવેકથી અને સહાનુભૂતિથી કર્યું કે ઘણા પ્રાંતના પ્રધાનોને તો તેમની ભારે ઓથ રહેતી. કાંઈ પણ ગૂંચ આવે કે તેઓ તેમની પાસે દોડી જતા. જોકે એકંદરે પાર્લામેન્ટરી કમિટીએ પ્રધાનના કામમાં નકામી દખલ કરી નથી. છતાં સામા માણસને સારું લાગશે કે ખરાબ લાગશે તેની પરવા કર્યા વિના એને ખરી વાત સાફ સાફ સંભળાવી દેવાની ટેવથી સરદારને ઘણી વાર અળખામણા થવાના પ્રસંગ પણ આવી પડતા. આખી કારોબારી સમિતિ એક જ વિચારની હોય છતાં રોષનું નિશાન સરદાર થતા. શ્રી નરીમાનનો કિસ્સો આપણે જોઈ ગયા છીએ. આ પ્રકરણમાં મધ્ય પ્રાંતના વડા પ્રધાન શ્રી ખરેનો પણ લગભગ એ જ કિસ્સો જોઈશું. ત્રિપુરા કોંગ્રેસ વખતે સુભાષબાબુનો રોષ પણ મુખ્યત્વે સરદાર ઉપર થયેલો.

પાર્લામેન્ટરી કમિટીના ચૅરમૅન તરીકે તેમને ઉકેલવા પડેલા કોયડામાંથી યુક્ત પ્રાંત અને બિહારનો કોયડો હરિપુરા કોંગ્રેસ વખતે બનેલો હાઈ એ

૨૯૦