આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૨
સરદાર વલ્લભભાઈ

મત ધરાવું છું કે આવા વિચારોથી લોકશાહી રાજ્યતંત્રનો સંપૂર્ણ નિષેધ થાય છે. એ જ પ્રમાણે હું એ વિચારની પણ વિરુદ્ધ છું કે કૉગ્રેસની કારોબારી સમિતિ અથવા તો પાર્લમેન્ટરી કમિટી ધારાસભાના કૉગ્રેસ પક્ષને પોતાના નેતાની ચુંટણીની બાબતમાં કંઈ પણ ફરમાન કરી શકે. હું એવો અભિપ્રાચ ધરાવું છું કે ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષને પોતાનો નેતા ચૂંટવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને નેતાની ચુંટણી પણ કોઈ જાતની દરમ્યાનગીરી વિના અબાધિત રીતે થવી જોઈએ. વળી પોતાના સાથીઓની પસંદગી કરવામાં પક્ષના નેતાને પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે કરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ.

“ ગઈ કાલે કેટલીક વ્યક્તિઓએ પહેલી જ વાર જે ચોંકાવનારા વિચારો દર્શાવ્યા તે સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું છે. હું હમેશાં એમ માનતો આવ્યો છું કે લોકશાહી પાર્લમેન્ટરી તંત્રો વિષે આખી દુનિયામાં જે ખ્યાલો અને રૂઢિઓ પ્રચલિત છે તે જ પ્રમાણે આપણે પણ કામ કરવાનું છે.

“ કારોબારી સમિતિ જો એમ ઇચ્છતી હોય કે ધારાસભા પક્ષની આવતી કાલે મળનારી સભામાં મારે નેતાપદની ઉમેદવારી ન કરવી તો એ મતલબનો હુકમ તેણે કાઢવો જોઈએ. એક ચુસ્ત શિસ્તપાલક તરીકે એ હુકમ હું ખુશીથી માથે ચડાવીશ.”

કૉંગ્રેસ કારોબારીનો ઠરાવ અને ડૉ. ખરેનો કાગળ બહાર પડતાં જ વર્તમાનપત્રોને તો જાણે ઉજાણી મળી ગઈ. જે વર્તમાનપત્રો કૉંગ્રેસને વગોવવાનો લાગ જ જોઈ રહ્યાં હતાં એમણે કારોબારી સમિતિની અને ખાસ કરીને તે સરદારની ખૂબ વગોવણી કરવા માંડી. ડૉ. ખરેએ પણ મહારાષ્ટ્રમાં ફરીને ભાષણો ઉપર ભાષણો કરવા માંડ્યાં. તેમાં પોતાની ભૂલ ઉપર, ઢાંકપિછોડો કરી સરદારને પૂરેપૂરા દોષિત ઠરાવવા માટે તેમના પર હુમલા કરવા માંડ્યા. એટલે પાર્લમેન્ટરી કમિટીએ બનેલી હકીકતો સત્તાવાર રીતે રજૂ કરતું એક નિવેદન તા. ૪થી ઓગસ્ટે બહાર પાડયું. તેમાંની બધી હકીકતો ઉપરના વર્ણનમાં આવી જાય છે, એટલે તે નિવેદન આખું અહીં આપવાની જરૂર નથી. એના છેલ્લા બે ફકરા જ નીચે આપ્યા છે :

"કૉગ્રેસ કારોબારી સમિતિના મનમાં એ વાતની જરાયે શંકા નહોતી કે પોતાના જે જૂના સાથીઓ સાથે ડૉ. ખરેએ પંચમઢીમાં સમાધાન કર્યું હતું, તે સાથીઓને પોતાના પ્રધાનમંડળમાંથી તેઓ કાઢવા માગતા હતા. એટલે જ તેને કશી ખબર આપ્યા વિના નવા સાથીઓની શોધ તેમણે શરૂ કરી દીધી હતી. તેમણે પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅનને પણ બનાવ્યા જ. એક તરફથી તેમને ખાતરી આપી કે પોતે કશું ઉતાવળું પગલું નહીં ભરે અને કંઈ બનાવો બનશે તેનાથી તેમને વાકેફ રાખશે, અને બીજી તરફથી કૉંગ્રેસ અધિકારીઓને તદ્દન અંધારામાં રાખી ગવર્નરની મદદથી પોતાને પ્રતિકૂળ સાથીઓને દૂર કરવાની તેમણે તજવીજ કરી.

“ આ વખતે પક્ષના કેટલાક સભ્યો તરફથી ડૉ. ખરેને વિનંતી કરવામાં આવી કે આવું બધું ચાલે છે ત્યારે તમે પક્ષની સભા બોલાવો. પણ એ વિનંતી