આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૪
સરદાર વલ્લભભાઈ



પછી પંચમઢીમાં મળ્યા પછી પાર્લમેન્ટરી કમિટીએ નિવેદન બહાર પાડ્યું જેમાં તેમના ઉપર વહીવટી અકુશળતાને તથા મામામાસીનું કરવાનો આરોપ આવતો હતો. ત્યારે એ ત્રીજી વારની તકે પણ તેઓ રાજીનામું આપી શકતા હતા. પણ એમણે તો નવું પ્રધાનમંડળ રચવાને પોતાને આમંત્રણ આપવામાં આવશે એ વસ્તુ પાકે પાયે કરી લીધા પછી જ તા. ૨૦મી જુલાઈએ રાજીનામું આપ્યું. મારી સાથે એમનો ઘણો પત્રવ્યવહાર ચાલતો તેમાં એમણે કોઈ વાર ઇશારો સરખો પણ કર્યો નથી કે પોતે વડા પ્રધાનનું પદ છોડી દેવા ઇચ્છે છે. અત્યારે એ પદ ગુમાવ્યા પછી, કહેવા નીકળ્યા છે કે એ પદ તો એમના ઉપર પરાણે લાદવામાં આવ્યું હતું.

“ ડૉ. ખરે એવી દલીલ કરે છે કે પ્રથમ જ્યારે પ્રધાનમંડળ રચવામાં આવ્યું ત્યારે પાર્લમેન્ટરી કમિટીને પૂછવાગાછ્યા વિના એમણે પોતાના સાથીઓને પસંદ કર્યા હતા. આ વસ્તુ પણ તદ્દન ખોટી છે. ૧૯૩૭ના માર્ચમાં કૉંગ્રેસની કારોબારી સમિતિએ પાર્લામેન્ટરી કમિટી એટલા માટે નીમી હતી કે,

" 'તે બધા પ્રાંતની ધારાસભાઓમાંના કૉંગ્રેસ પક્ષના સતત અને પૂરા સંપર્કમાં રહે, તેમની બધી પ્રવૃત્તિ વિશે તેમને સલાહ આપે અને કોઈ એવો તાકીદનો પ્રસંગ ઊભો થાય તો તે માટે જરૂરી પગલાં લે.'

"૧૯૯૭ના જુલાઈમાં ડૉ. ખરે અને મારી વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર ઉપરથી સાબિત થાય છે કે ડો. ખરેના બધા હિંદુ સાથીઓ મારી અગાઉથી મંજૂરી મેળવીને પસંદ કરવામાં આવ્યા હતા. મુસલમાન પ્રધાન માટે તેમણે મૌલાના અબુલ કલામ આઝાદની મંજૂરી મેળવી હતી. તે વખતે જ. શરીફના પ્રસંગમાં તથા પંચમઢીની સભામાં, જરૂર પડે તો નવા પ્રધાન નીમવાની સત્તા કારોબારી સમિતિએ પાર્લમેન્ટરી કમિટીને આપી હતી. તે વખતે પ્રધાનને નીમવા અથવા તો તેને દૂર કરવાના કારોબારી સમિતિના અથવા તો પાર્લમેન્ટરી કમિટીના અધિકારનો ડૉ. ખરેએ કદી ઇનકાર કર્યો નથી. વર્ધામાં ગયે મહિને મળેલી કારોબારી સમિતિની બેઠક પછી થોડા જ દિવસ પછી ડૉ. ખરેએ મને વિનંતી કરેલી કે તેમની અને બીજા પ્રધાનની વચ્ચે દફતરોની ફરી વહેંચણી તમે કરી આપો.

“ ડૉ. ખરેએ એવું કહ્યું છે કે પંચમઢીનું સમાધાન પણ તેમના ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું હતું. એ વાત પણ તદ્દન ખોટી છે. ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષની તા. ર૫મી મેના રોજ પંચમઢીમાં મળેલી સભામાં ડૉ. ખરે અને તેમના સાથીઓએ એક લેખી નિવેદન રજૂ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું છે કે,

" 'અમને જણાવતા આનંદ થાય છે કે અમારા મતભેદનો નિકાલ અમે અંદર અંદર લાવી શક્યા છીએ અને પૂરેપૂરી સહુકારવૃત્તિથી હળીમળીને કામ કરવાને અમે સંમત થયા છીએ. અમને વિશ્વાસ છે કે અમારા કામમાં તમારો પૂરો સહકાર અને ટેકો અમને મળશે.'

"ઉપરનું સમાધાન મંજૂર રાખીને પાર્લમેન્ટરી કમિટીએ એક નિવેદન બહાર પાડ્યું. તેમાં તેમણે જણાવ્યું કે,