આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

અભિપ્રાય આપ્યો. એટલે છેવટે આસામમાં કૉંગ્રેસનું પ્રધાનમંડળ રચાયું અને એ સફળ થયું.

સિંધમાં ધારાસભાના કુલ ૬૦ સભ્યોમાંથી કૉંગ્રેસ પક્ષના પ્રથમ માત્ર આઠ અને પાછળથી દસ સભ્યો હતા. પણ બાકીના પચાસ એવા હતા કે, ઘડીકમાં એક પક્ષમાં જાય તો ઘડીકમાં બીજા પક્ષમાં. પ્રથમ તો સર ગુલામહુસેન હિદાયત ઉલ્લાએ ત્યાં પ્રધાનમંડળ રચ્યું. એમને રાજદ્વારી બાબતોનો અને વહીવટી બાબતોનો સારો અનુભવ હતો. પણ ત્યાં એટલી ખટપટો અને અંગત વેર ઝેર હતાં કે, તેમનું પ્રધાનમંડળ લાંબો વખત બહુમતી સાચવી શક્યું નહીં. ૧૯૩૮ના માર્ચ માં ર૪ વિ. રર મતે તેના ઉપર અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ એટલે સર ગુલામહુસેને રાજીનામું આપ્યું. ગવર્નરના આમંત્રણથી ખાન બહાદુર અલાબક્ષે નવું પ્રધાનમંડળ રચ્યું. તેઓ કૉંગ્રેસ પ્રત્યે સારું વલણ ધરાવતા હતા. તેમણે કૉંગ્રેસી સભ્યોને કહ્યું કે, પોતે સામાન્ય રીતે કૉંગ્રેસની નીતિ અને કાર્યક્રમને અનુસરશે. કૉંગ્રેસી સભ્યોએ સરદારની સલાહથી એવો જવાબ આપ્યો કે, “દરેક પ્રસંગે જેમ યોગ્ય લાગે તેમ વર્તવાની અમારી સ્વતંત્રતા અમે કાયમ રાખવા માગીએ છીએ. પણ તમારા પ્રધાનમંડળને હરકત આવે એવી રીતે ખાસ વિરોધમાં રહેવાની અમારી ઇચ્છા નથી. તમારાં જે કામો અમને સારાં લાગશે તેને ટેકો આપીશું.” તે વખતે સિંધમાં મોટો સવાલ સક્કર બરાજની યોજનાને લીધે જે જમીનોને નહેરનું પાણી મળતું હતું તેના જમીન મહેસૂલનો હતો. શરૂઆતમાં સારા ખેડૂતોને એ જમીન ઉપર આકર્ષવાને માટે મહેસૂલના દર ઓછા રાખેલા હતા. પણ પ્રાંતની આવક વધારવાની ખાતર એ દરમાં ક્રમિક વધારો કરવો જોઈએ એવું અલાબક્ષના પ્રધાનમંડળને લાગ્યું. જમીનદારોનું કહેવું એમ હતું કે દર વધારવા હોય તો પણ પૂરી તપાસ કર્યા પછી દરમાં ફેરફાર કરવા જોઈએ. સિંધના કૉંગ્રેસી સભ્યોએ સરદારને અને મૌલાના આઝાદને પરિસ્થિતિ જોઈને સલાહ આપવા માટે સિંધમાં બોલાવ્યા. સરદારનો અભિપ્રાય એ થયો કે, દર વધારવાનું એક વર્ષ મુલતવી રાખો. ત્યાં સુધીમાં પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. જો અલાબક્ષનું પ્રધાનમંડળ આ વાત સ્વીકારવાને તૈયાર થાય તો કૉંગ્રેસી સભ્યોએ એના પ્રધાનમંડળને ટેકો આપવો. કૉંગ્રેસનો ટેકો નિશ્ચિત થઈ જાય તો અલાબક્ષનું પ્રધાનમંડળ સ્થિર થાય એવો પૂરો સંભવ હતો. પણ મૌ. આઝાદ એ મતના હતા કે કોઈ પણ શરતે કૉંગ્રેસી સભ્યોએ હમેશાં ટેકો આપવાને બધાઈ જવું જોઈએ નહીં, એટલે કશું સમાધાન થયું નહીં. જોકે જ્યાં સુધી અલાબક્ષ વડા પ્રધાન રહ્યા ત્યાં સુધી તેઓ કૉંગ્રેસની નીતિને અનુકૂળ રહ્યા.