આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

જાતનો કાગળ લખ્યો છે, તે જોતાં આપણો મેળ લાંબો વખત ચાલી શકે નહીં. તમારે મારું માન સાચવીને મારી નીતિને અમલમાં મૂકવા અહીં રહેવાનું છે.”

કૅંડલે બિચારાએ બને તેટલો ઠાકોર સાહેબને અનુકૂળ થવાનો પ્રયત્ન કર્યો. પણ દરબાર વીરાવાળાને લાગી ગયેલું કે આપણે કૅંડલને લાવીને કાંઈ કાંદા કાઢ્યા નથી. એટલે તા. ૧૬ મી ઑકટોબરે રેસિડેન્ડ મિ. ગિબ્સન ઉપર ઠાકોરસાહેબ પાસે એણે કાગળ લખાવ્યો. એ કાગળમાં આગેવાનો તથા કાર્યકર્તાઓ માટે લાધવભર્યા વચનો વાપરેલાં છે અને રૈયતનો તેમને સાથ બરાબર નથી એવું બતાવવાની કોશિશ કરવામાં આવી છે. છતાં રાજ્યની હાલતને અને રાજયમાં ચાલતી ચળવળને જેવો ખ્યાલ તેમાંથી મળે છે. તે બીજા કોઈ અહેવાલમાંથી ભાગ્યે જ મળી શકે. એટલે એ કાગળ જ નીચે આપ્યો છે :

"મારા રાજ્યમાં કમનસીબે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે આપને જણાવતાં મને બહુ દુ:ખ થાય છે. આપ જાણો છો કે પહેલાં ઊપડેલી ચળવળને લીધે ઢેબર સુધ્ધાં ૩૫ માણસને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. સાતમ અને આઠમના તહેવારોના ત્રણ દિવસ અગાઉ મૅજિસ્ટ્રેટના હુકમથી પોલીસે હળવો લાઠીચાર્જ કરેલો એને લીધે લોકોએ હડતાલ પાડેલી. છતાં સાતમ અને આઠમ (શીતળાસાતમ અને ગોકળ આઠમ) ને દિવસે હંમેશ મુજબ મેં મારી સવારી કાઢેલી તે વખતે લોકો બહુ શાંતિ અને અદબથી વર્ત્યા હતા. ગોકળ આઠમને દિવસે સવારે કેટલાક લોકો મારી પાસે આવ્યા અને મને અરજ કરી કે મારે દયા બતાવીને અટકાચતીઓને છોડી દેવા જોઈએ અને સભાબંધીના હુકમો રદ કરવા જોઈએ. અરજ માન્ય રાખીને એ પ્રમાણે મેં હુકમ આપ્યા તે આપ જાણો છો.

"થોડા દિવસ પછી શહેરમાં પ્રજાપરિષદ ભરાઈ તેમાં સાતથી આઠ હજાર માણસો ભેગાં થયેલાં. પણ અર્ધા ઉપરાંત તો નાનાં છોકરાં હતાં. હજારેક માણસ સિવિલ સ્ટેશનના હતા અને બાકીના શહેરના હતા. એ પરિષદમાં વલ્લભભાઈ આવેલા હોવા છતાં આબરૂદાર માણસો બહુ થોડા હતા. વલ્લભભાઈની ઉશ્કેરણીથી લોકો વધારે બહેક્યા અને ચળવળ વધારે જોશમાં ઊપડી. એટલે મેં સર પેટ્રિક કૅંડલને લાવવાનો વિચાર કર્યો, એવી આશાથી કે વહેલામાં વહેલી તકે તેઓ ચળવળને દાબી દઈ શકશે અને રાજ્યમાં સુલેહશાંતિ ફેલાવશે. તેમને લાવવામાં આપે પણ મને મદદ કરી છે. તેઓ ૧૧મી સપ્ટેમ્બરે અહીં આવ્યા અને ૧૨મી સપ્ટેમ્બરે દીવાનનો ચાર્જ સંભાળી લીધો. મારો ખ્યાલ એવો છે કે ચળવળ તે વખતે ઠીક ઠીક કાબૂમાં આવી ગઈ હતી. તેને નિર્મૂળ કરી નાખવા તેઓ વખતસર પગલાં લેશે એમ મેં ધારેલું. પણ પરિસ્થિતિથી માહિતગાર થવા માટે તેમણે વખત માગ્યો. તેમની વૃત્તિ તાબડતોબ કંઈ પગલું લેવાની જણાઈ નહીં અને દિવસો જતા ગયા તેમ પરિસ્થિતિ વધારે મુશ્કેલ અને કાબૂ બહાર જતી ગઈ. દીવાસળીના ઇજારાને ખુલ્લી રીતે અને રાજ્યને પડકાર આપીને ભંગ કરવામાં