આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૪
સરદાર વલ્લભભાઈ

ધ્યાન લગાડશો નહીં. પહેલું રાજકોટનું કોકડું ઉકેલાવા દો. પછીથી તમારાં કોકડાં વધારે સહેલાઈથી ઊકલી જશે. આ સંગ્રામનો ફેંસલો તો ત્યારે જ થશે જ્યારે આપણે માગી રહ્યા છીએ તે બધું જ મળશે.

"રાજકોટ કાઠિયાવાડનું કેન્દ્ર છે. કાઠુિચાવાડનું સત્વ રાજકોટમાં છે. તે કાઠિયાવાડનું નાક છે. રાજકોટના સંગ્રામમાં કાઠિયાવાડની ઈજ્જતનો સવાલ છે. આઠ કરોડની ગુલામીના બંધન તોડવાની લડત ત્યાં લડાઈ રહી છે. ”

ત્યાર પછી તા. ૨૧-૧૧-'૩૮ના રોજ અમદાવાદમાં એક જાહેરસભા થઈ, તેમાં વ્યાખ્યાન આપતાં સરદારશ્રીએ કહ્યું :

“ તમે બધાં આજે મારી પાસેથી રાજકોટની લડતનો ઇતિહાસ સાંભળવા ભેગાં થયાં હશો. હું ધણાં વરસોથી કાઠિયાવાડનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરતો હતા અને અનેક વખત નિરાશા પણ અનુભવી હતી. કારણ ક્યાં પગ મૂકવો એની સૂઝ પડતી નહોતી. મને એક આદત પડી ગઈ છે કે એક વાર પગ મૂક્યો ત્યાંથી પાછા ન હઠવું. જ્યાં પગ મૂકીને પાછા ફરવું પડે એમ હોય ત્યાં પગ મૂકવાની મને આદત નથી. બાકી રાજકોટ તો એ રાજ્ય છે કે જ્યાં કબા ગાંધીએ દીવાનગીરી કરી છે, અને જેના પુત્રે દુનિયાભરમાં હિંદને ઓળખાવ્યું છે. એણે આપણને સ્વમાનના પાઠ ભણાવ્યા છે. એ કાઠિયાવાડનું ઋણ કઈ રીતે ચૂકવાય એનો વિચાર કરતાં મેં ઘણા ઉજાગરા પણ કર્યા છે. છેવટે ઈશ્વરની દયા થઈ છે. ઈશ્વરે તે ઋણ ટાળવાનો રસ્તો બતાવ્યો છે. કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી શ્રી ઢેબરભાઈએ 'જન્મભૂમિ'માં પાંચ લેખ લખ્યા અને મને મોકલીને કહ્યું કે રસ્તો બતાવો. મેં તેમને કહ્યું કે હવે લેખ લખે દહાડો નહીં વળે. તમે પ્રજાની નાડી પરીક્ષા કરી છે. બાકી હું કઈ એજન્સીને અરજીઓ કરવામાં માનતો નથી. આજે રાજા અને પ્રજા સર્વોપરી સત્તાના મોં સામે જોઈને બેઠાં છે. પણ ખરી સર્વોપરી સત્તા એ કાંઈ ઉપરની સરકાર નથી. ખરી સર્વોપરી સત્તા એ તો તમારી પ્રજા છે. તમે બીજી આશા રાખતા હો તો તમારો બધો હિસાબ ખોટો પડવાનો છે. આ રાજ્યોની લડતોનો ફેંસલો એક જ રીતે થઈ શકે. રાજાઓએ પ્રજા માગે તેવું રાજ્યતંત્ર આપવું જ પડશે. રાજ્ય કેવું કરવું અને કેમ કરવું, અને કાયદા કેમ ઘડવા ને કેમ નહીંં, એ કામ કૅંડલનું કે ગિબ્સનનું નથી, તેમ કરવાનો તેમને અધિકાર નથી. રાજ કેમ કરવું એ માટે તે રાજકોટની પ્રજાને પૂછવું પડશે. જે પ્રજાના પ્રતિનિધિઓ આજે જેલમાં પડયા છે, તેમને પૂછવું પડશે. અત્યારે રાજકોટમાં નવો ગોરો દીવાન આણવામાં આવ્યો છે. એ આપણા દેશમાં બહુ રહી ગયેલ છે. આવ્યો ત્યારથી તેણે ઑર્ડિનન્સ કાઢવા માંડ્યા છે. અને લોકોએ તે તોડવા માંડ્યા છે. નવો દીવાન કહે છે કે અમે પ્રજાને રાજકારભારમાં વધારે હિસ્સો આપવા તૈયાર છીએ. પણ અમારે એ ગંદવાડામાં હિસ્સો શું કામ જોઈએ ? અમારે તો જમીન સાફ કરવી છે. એ તાપને એટલો તપવી બતાવવો છે કે જેથી એ જ ગંદવાડો સળગી જાય. એ નવો દીવાન કહે છે કે રાજકેટની લડતમાં હું દોરીસંચાર કરી રહ્યો છું. હું કહું છું કે તું ગમે તેટલે ઊચોનીચો થાય તો પણ મારા વિના તારું કોકડું ઊકલનાર નથી. આ કઈ બચ્ચાના ખેલ નથી. જો તમારી કડક