આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨


ગાંધીજીએ પણ ઠાકોરસાહેબને તે જ દિવસે નીચે પ્રમાણે કાગળ મોકલાવ્યો :

“ના, ઠાકોરસાહેબ,

"ભાઈ જયંતીલાલ સાથે મેં સારી પેઠે વાત કરી છે. સરદારે જે પત્ર રા. સા. માણેકલાલ ઉપર મોકલ્યો છે તે પ્રમાણે વર્તવામાં તમારા વચનનું પાલન છે ને તમારું હિત છે. જે ઉદાર નિર્ણય કર્યો છે તેને વળગી રહેવાની મારી ભલામણ છે.

મોહનદાસ ગાંધીના આશીર્વાદ”
 

રા. સા. માણેકલાલ પટેલે સરદારને તારથી જણાવ્યું કે તમારા કાગળ ઉપર ના. ઠાકોર સાહેબ વિચાર કરી રહ્યા છે અને પોતાનો નિર્ણય થોડા વખતમાં જણાવશે. આ પત્રવ્યવહાર ચાલતો હતો એ દરમિયાન રાજકોટની સ્થિતિ તો બગડતી જ જતી હતી. શ્રી ઢેબરભાઈ એ ૧૮-૧-'૩૯ના રોજ સરદારને તારથી જણાવ્યું કે,

"માણેકલાલભાઈનો જવાબ અચોક્કસ છે અને કુશંકા ઉપજાવનારો છે. રાજ્ય મુસલમાનોને વિરોધ દેખાડવાની ખટપટ કરે છે. તેઓની મીટિંગ થાય છે. અહી સ્થિતિ બહુ ગંભીર છે.”

એટલે સરદારે તા. ૧૯મીએ રા. સા. માણેકલાલને નીચે પ્રમાણે તાર કર્યો :

“ શ્રી જોબનપુત્રા મારફત મેં મોકલેલા કાગળનો તમારા તરફથી છેવટનો જવાબ નથી તેથી દિલગીર છું. તેમાં જણાવેલી શરતોનું તા. ૨૨મી સવારે ૧૦ વાગ્યા પહેલાં પાલન કરવામાં નહીંં આવે તો મારે નાછુટકે તેમાં જે કાગળિયાંના ઉલ્લેખ કરેલ છે તે પ્રગટ કરવાં પડશે અને રાજકેટના લોકોને લડત શરૂ કરવાની સલાહ આપવી પડશે.”

એટલે રા. સા. માણેકલાલે તા. ર૦-૧-'૩૯ના રોજ તારથી જવાબ આપ્યો કે કે કમિટીના સભ્યોના નામમાં થોડા ફેરફાર કરી અમે જાહેર કરીએ છીએ. તે અનુસાર તા. ૨૧-૧-'૩૯ની રોજ દરબારી જાહેરનામું પ્રગટ થયું. તે અક્ષરશ: નીચે આપ્યું છે :

“ તા. ૨૬-૧૨-'૧૮ના જાહેરનામામાં જણાવ્યા મુજબ રાજ્યના કારોબારમાં અમારી પ્રજાને વિશેષ રીતે સંયોજિત કરવાના હેતુથી, યોગ્ય તપાસ કરી સુધારાની યોજનાની ભલામણનો રિપોટ અમારા તરફ રજૂ કરવા, રાજ્યના બધા અગત્યના વિભાગનું પ્રતિનિધિત્વ ધરાવનારી, નીચે લખ્યા સાત ગૃહસ્થોની કમિટી, જેમણે સ્ટેટના ત્રણ ઑફિસરો જેઓનાં નામ હવે પછી બહાર પાડવામાં આવશે, તેઓની સાથે રહી કામ કરવાની નિમણૂક કરવામાં આવે છે: