આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨
ખાતરી ન થઈ હોય એવી એકે વાત મેં કહી નથી. એની ઉઘાડી બૂરાઈઓ છતાં આપણે એને પ્રેમની નજરથી જોઈએ. એવો પ્રેમ એનો પોતાનો અને એના પ્રભાવ તેમ જ દોરવણી હેઠળ ચાલનારા બીજાઓનો અને હૃદયપલટો કરશે એવી આશા છે.
“રાજકોટની પ્રજાનો કાર્યક્રમ અને નીતિ ઘડવામાં મારી દરમ્યાનગીરી અને કૉંગ્રેસનો પ્રભાવ રેસિડેન્ટને અળખામણાં લાગે છે એ વાતનો મને ખેદ થાય છે. રાજસ્થાની પ્રજાઓ તો હંમેશાં કૉંગ્રેસથી દોરવાતી આવી છે. તેઓ કૉંગ્રેસની આણ માને છે. આરંભના કાળમાં તો ખુદ રાજાઓ પણ કૉંગ્રેસનો ટેકો શોધતા. કૉંગ્રેસે દેશી રાજ્યોના પ્રશ્નોમાં સીધો ભાગ ન લેવાની નીતિ એટલા સારુ અખત્યાર કરી હતી કે તેને પોતાની શક્તિની મર્યાદાનું ભાન હતું, પણ જ્યારે દેશી રાજ્યોની પ્રજાને પોતાની શક્તિનું ભાન થયું છે અને કષ્ટો સહન કરવાની તેમની તૈયારી છે, ત્યારે કૉંગ્રેસ પોતાની શક્તિના પ્રમાણમાં પ્રજાને વધુમાં વધુ સાથ આપવામાં જો પાછી પાની કરે તો તે પોતાના સિદ્ધાંતને બેવફા નીવડી ગણાય.
“મારે પોતાને વિષે તો એટલું જ કહું કે કાઠિયાવાડ રાજકીય પરિષદનો હું પ્રમુખ છું, અને તેથી કાઠિયાવાડની પ્રજા પ્રત્યે તેમ જ રાજાઓ પ્રત્યે પણ પરિષદના પ્રમુખ તરીકે મારી ચોક્કસ ફરજો રહેલી છે. આ સ્થિતિમાં તેમના તરફથી સાદ આવે ત્યારે મારાથી મદદનો ઇનકાર કરી શકાય નહીં. રાજકોટની બાબતમાં પ્રથમ લોકો તરફથી અને પાછળથી રાજા તરફથી મદદને સારુ મારી પાસે માગણી આવી, અને મારો દાવો છે કે તે મેં વગર સંકોચે આપી છે. આમાં રેસિડેન્ટને કે સામ્રાજ્ય સત્તાને ઊકળી ઊઠવા જેવું શું છે, તે મારા સમજવામાં નથી આવતું. દેશી રાજ્યોના સવાલનો ફડચો આણવામાં અનાયાસે નિમિત્તરૂપ બનવાનો રાજકોટને મોકો મળે છે. એ રાજકોટનું અહોભાગ્ય છે.
“હાલ તુરતને સારુ સત્યાગ્રહની લડતમાં માત્ર કાઠિયાવાડી પ્રજા જ ભાગ લે એવી મર્યાદા મૂકવામાં આવી છે. કાઠિયાવાડી પ્રજા વહેવારમાં એકબીજા જોડે એવી રીતે સંકળાયેલી છે કે કોઈ પણ કાઠિયાવાડીને એકબીજાના સુખદુઃખમાં ભાગ લેતાં નૈતિક દૃષ્ટિએ અટકાવી શકાય નહીં.”

આ નિવેદનની સાથે રેસિડેન્ટને ત્યાં થયેલી મંત્રણાની યાદી, દરબાર વીરાવાળાને કેવી રીતે હદપાર કરવામાં આવેલા તે વિષેના રેસિડેન્ટના તથા પોલિટિકલ એજન્ટના પત્રો, સર પેટ્રિક કૅડલને રજા આપવાની બાબતમાં ઠાકોરસાહેબ તથા રેસિડેન્ટની વચ્ચેનો પત્રવ્યવહાર વગેરે સરદારે બહાર પાડ્યું.

સરદારના નિવેદનનો જવાબ તા. ર૬–૧–’૩૯ ના રોજ ઠાકોરસાહેબની સહીથી નીચેના જોહુકમી ઑર્ડિનન્સો બહાર પાડીને આપવામાં આવ્યો. તેની ભાષા છે તે જ રાખી છે.

૧. અમારા જાણવામાં આવેલ છે કે રાજકોટ સ્ટેટની હદમાં રહેનાર તેમ જ બહારના કેટલાક ચળવળખોરો રાજકોટના રાજ્યકર્તા અને તેના