આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૬
સરદાર વલ્લભભાઈ

તા. ૩જી ફેબ્રુઆરીએ બા અને મણિબહેન રાજકોટ પહોંચ્યાં. સ્ટેશન ઉપર વાલેરાવાળા હાજર હતા. તેમણે કસ્તૂરબા અને મણિબહેનના હાથમાં નોટિસનો કાગળ મૂક્યો. તેમાં લખ્યું હતું :

“રાજ્યની હદમાં તમારા દાખલ થવાથી અશાંતિ થવાનો ભય રહે છે. માટે બે માસ સુધી તમારે રાજકોટની હદમાં દાખલ થવું નહીં.”

સ્ટેશન એજન્સીની હદમાં હતું. ત્યાંથી બાનું સરઘસ નીકળ્યું. પણ એજન્સીની હદ પૂરી થતાં જ વાલેરાવાળાએ કહ્યું કે “હવે આપ આ મોટરમાં બેસી જાઓ. મણિબહેને પૂછ્યું, “કેમ ? અમને ગિરફ્તાર કરો છો ?” જવાબમાં વાલેરાવાળાએ કહ્યું, “જી હા.” પછી બાને અને મણિબહેનને રાજકોટથી લગભગ સોળ માઈલ દૂર સણોસરા ગામના દરબારી ઉતારામાં લઈ જવામાં આવ્યાં. એ કહેવાય દરબારી ઉતારો, પણ હતું તો એક જૂનું નાનું અવાવરું મકાન. ભીંતોએ અને છાપરે જાળાં બાઝેલાં હતાં. આસપાસ ઉકરડાની ગંદકી હતી. મકાનમાં બે ઓરડા અને નાની એાસરી હતી. અને આગળ એક નાનું ફળિયું હતું. શ્રી મણિબહેન ત્યાંનું વર્ણન કરતાં તા. ૫–૨–’૩૯ના કાગળમાં લખે છે :

“અમે પરમ દિવસે સાંજે અહીં પહોંચ્યાં. અમને ગામના પોલીસ પટેલને સોંપી ગયા છે. ગામમાં કશું શાક મળતું નથી, કશી દવા જોઈએ તો તે તો ક્યાંથી જ મળે ? અમને દરબારી મહેમાન કહે છે, એટલે રસોઇયો આપ્યો છે, પણ તે એવો ગંદો છે કે એનાં કપડાં જોઈને ખાવાનું પણ ન ભાવે. એને પૂરું રાંધતાં નથી આવડતું. પરમ દિવસે સાંજે અને કાલે સવારે બંને વખતે ભાત કાચો રાખેલો. કાલે સાંજે રોટલો કરાવ્યો તે પણ કાચો. શાકમાં અહીં બટાટા જ મળે છે. તેનું શાક પણ કાચું. રસોઈ છાણાં ઉપર કરવાની હોય છે. એટલે ધૂણી થયાં કરે છે. હું તો રસોડામાં પેસું છું ત્યારથી આંખ ગળવા માંડે છે. ગંદવાડનો તો પાર નથી. કાંઈ દેવાનું અને સાફ કરવાનું કહીએ તો પસાયતા કહે છે કે આ ગામમાં પાણીનું બહુ દુઃખ છે. નાહવાનું પાણી આપે છે એ નર્યો રગડો હોય છે. એક બાઈ કાલે કપડાં ધોઈ લાવી. એ તો આપ્યાં હતાં તેના કરતાં વધારે મેલાં થઈને આવ્યાં.
“કાલે રાતના બાને બરાબર ઊંઘ નથી આવી. એમને દસ્તની તકલીફ રહે છે. બે અઢી વાગ્યે પેશાબ કરવા ઊઠ્યાં. પછી બળતરા થવા લાગી. પણ અમારી પાસે અહીં શું મળે ? બિચારાં કાંઈ બોલે પણ નહીં. ન રહેવાયું ત્યારે પોતે જ ઊઠીને ભીનું કપડું કરી મૂકીને સૂઈ ગયાં. મેં પૂછ્યું એટલે કહે, પૂંઠે બળતરા બહુ થાય છે. મારી પાસે વૅસેલિન હતું તે થોડું લગાડ્યું. મને તો એમ ફિકર થાય છે કે કોઈ વાર જો બાને અહીં ચક્કર બક્કર આવશે તો હું શું કરીશ ? કોને બોલાવીશ ? બિચારા પાલીસ પટેલ પણ આવીને શું કરશે ? કદાચ ટેલિફોન કરવાની હિંમત કરે તોપણ દાક્તરને પહોંચતાં ખાસા બે કલાક