આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨
તાર કર્યો છે તે ઉપરથી તમારી ખાતરી થઈ હશે કે ઉપવાસને માટે વાજબી કારણ ન હતું. ઠાકોરસાહેબને એમ લાગતું નથી કે તેમના તરફથી કશો વિશ્વાસભંગ થયો છે. તેઓ તો ઇંતેજાર છે કે પોતે નીમેલી પ્રતિનિધિત્વ ધરાવતી કમિટી શાંત વાતાવરણમાં પોતાનું કામ શરૂ કરી દઈ શકે, જેથી કરીને એ કમિટીની ભલામણો ઉપર પૂર્ણ વિચાર કરીને પોતાને જે સુધારા આપવા જરૂરી લાગે તે બને તેટલા વહેલા તેઓ દાખલ કરી શકે. ઠાકોરસાહેબને ચોક્કસ લાગે છે કે તેઓશ્રીએ જણાવેલા સંજોગોમાં આપ સમજી શકશો કે આપના અહીં આવવાથી કંઈ ઉપયોગી હેતુ સરશે નહીં. તેઓ આપને ફરી ખાતરી આપવા માગે છે કે કોઈ પણ જાતનો જુલમ અગર ત્રાસ વર્તાવવા દેવામાં આવશે નહીં.”

એટલે તા. રપમીએ ગાંધીજીએ નીચે પ્રમાણે તાર કર્યો :

“મારી હૃદયપૂર્વકની આજીજીનો તમારા તારમાં કશો જવાબ મળતો નથી. શાંતિના કાર્ય માટે આજે હું રાજકોટ આવવા નીકળું છું.”

આ તારવહેવાર ઉપર વિશેષ ટીકાટિપ્પણની જરૂર નથી. તે જ દિવસે ગાંધીજીએ સરદારને જણાવ્યું કે આ વેદનાનો અંત લાવવા માટે ઈશ્વરની દોરવણી નીચે મારા પ્રયાસો જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી તમે સત્યાગ્રહની લડત બંધ રખાવશો. એટલે તા. ૨૫મીએ જ સરદારે નીચે પ્રમાણે છાપાંજોગું નિવેદન બહાર પાડ્યું :

“શાંતિ સ્થાપવા માટે રાજકોટ જવાનો પોતાનો ઇરાદો જાહેર કરતું ગાંધીજીનું નિવેદન મેં વાંચ્યું છે. હું વર્ધામાં હતો તે દરમ્યાન હું તથા બીજા મિત્રો દેશી રાજ્યોમાં ચાલી રહેલી ચળવળની બાબતમાં તેમના હૃદયની વેદના નિહાળી રહ્યા હતા. જ્યારે જ્યારે આવી મનોવ્યથા તેમને થાય છે ત્યારે ત્યારે, તેમના સાથીઓને એકાએક નિર્ણય જેવું લાગે, પણ જે તેમને મન ઈશ્વરી માર્ગદર્શન હોય છે તેને અનુસરીને તેઓ શાંતિ મેળવવા પ્રયત્ન કરે છે. એ વસ્તુ લોકો હવે જાણી ગયા છે. રાજકોટનો સત્યાગ્રહ મોકૂફ રાખવામાં આવે એવી તેમની ઇચ્છા છે. એટલે ફરી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી હું રાજકોટનો સત્યાગ્રહ મુલતવી રહેલો જાહેર કરું છું અને આશા રાખું છું કે જે કાઠિયાવાડીઓ તેમાં ભાગ લેવા રાજકોટ જવા ઇરાદો રાખતા હશે તેઓ હવે રાજકોટ નહી જાય. તે જ પ્રમાણે રાજકોટ રાજ્યના વતનીઓ પણ સત્યાગ્રહ બંધ રાખશે. એથી વિશેષ હું અત્યારે કહી શકતો નથી. ગાંધીજી જે ભાવનાથી ઇચ્છે છે તે ભાવનાથી આપણે તેમની ઇચ્છાને માન આપીએ.”

ઉપરના તારમાં જણાવ્યા પ્રમાણે ગાંધીજી તા. ૨પમીએ સાંજે વર્ધાથી નીકળ્યા. તા. ર૬મીએ દિવસે મુંબઈ રોકાઈને રાત્રે રાજકોટ જવા કાઠિયાવાડ મેલમાં નીકળ્યા. તા. ર૭મીએ ગાંધીજીએ ટ્રેનમાંથી મહાદેવભાઈને નીચે પ્રમાણે કાગળ લખ્યો :

“ઈશ્વરની શી લીલા ! આ યાત્રા મને પણ આશ્ચર્ય પમાડે છે. ક્યાં ચાલ્યો, શું કરીશ, કઈ વિચારી નથી રાખ્યું. જો ઈશ્વર જ દોરતો હોય તો વિચારવું શું ? શા સારું ? વિચારવું એ તેના માર્ગને રોકવા જેવું તો નહીં હોય ?