આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨
સૂચનાઓ જે મજકૂર નિવેદન બહારની ગણાય એ રાજ્યપક્ષની ન ગણવી હોય તો એમ કહી શકાય. પણ કેવળ મને જણાતા આપના પ્રતિજ્ઞાભંગમાંથી જ એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પણ મારી દૃષ્ટિએ તો એ પણ રાજા-પ્રજાના રક્ષણાર્થે છે ને ફરી સમાધાની ન ભાંગી પડે એ દૃષ્ટિએ છે.
“છેવટમાં આપને વિશ્વાસ આપું કે સમિતિ જે રિપોર્ટ તૈયાર કરશે તે જો મારો દેહ હશે તો હું તપાસીશ. મારો દેહ નહી હોય તો સરદાર વલ્લભભાઈ તપાસશે અને તેમાં એક પણ કલમ એવી નહીં રહે કે જેથી આપની પ્રતિષ્ઠાને કે રાજ્યને કે પ્રજાને હાનિ પહોંચે.
“આની નકલ હું ગિબ્સન સાહેબને મોકલું છું.
“આ કાગળ હું તુરંત પ્રગટ નથી કરતો અને આશા તો એવી સેવું છું કે મારી સૂચનાનો આપ હર્ષપૂર્વક સ્વીકાર કરશો અને આ પત્ર પ્રગટ કરવાનો ધર્મ મારી ઉપર નહીં આવી પડે.
“પ્રભુ આપનું કલ્યાણ કરો, આપને સન્મતિ આપો.
મોહનદાસના આશીર્વાદ”
 

તે જ વખતે દરબાર વીરાવાળાને નીચેનો કાગળ લખ્યો :

“તા. ૨-૩-’૩૯
 

“દરબારસાહેબ વીરાવાળા,

“હું શું કરું ? રાતનો અર્ધો ઉજાગરો કરીને આ કાગળ લખું છું.
“ગયા ત્રણ દિવસમાં આપે મને બહુ કડવો અનુભવ કરાવ્યો છે. આપના વચનમાં એકતા નથી ભાળી. પ્રત્યેક વચનમાંથી નીકળી જવાની તૈયારી સિવાય હું બીજું જોઈ જ ન શક્યો. કાલ રાતની વાતે આડો વાંક વાળ્યો. પ્રજાજન આપનાથી કેમ થથરે છે એ હું સમજી શકયો છું.
“આપે આપની કારકિર્દી તપાસવાનું મને આમંત્રણ આપ્યું છે. મેં તે સ્વીકાર્યું. પણ વધારે તપાસવાપણું આપે રહેવા જ નથી દીધું. મને ઈશ્વરે શક્તિ નથી આપી, એટલી પવિત્રતા નથી આપી લાગતી. મારામાં એટલી અહિંસા નથી પ્રગટી, નહીં તો હું જરૂ૨ આપના હૃદયમાં પ્રવેશ કરી શક્ચો હોત. મને દુઃખ અને શરમ થાય છે કે આપનું હૃદય જીતવા અસમર્થ નીવડ્યો છું. મારો સત્યાગ્રહ લાજે છે.
“હું માનું છું કે આપ ઠાકોરસાહેબ ઉપર જે સામ્રાજ્ય ભોગવો છે એમાં એમનું હિત નથી સધાયું. એમની માનસિક અપંગતા જોઈ પરમ રાત્રિએ મારું હૈયું રડ્યું. એની જવાબદારી હું આપની ઉપર ઢોળું છું.
“ના. ઠાકોરસાહેબ ઉપર હમણાં જ કાગળ મોકલ્યો છે. તેની સાથે જ આ આપની ઉપર પણ મોકલું છું. આપ તો એ કાગળ તુરત જોશો જ. એટલે એની નકલ નથી મોકલતો. જોકે આપનો નિર્ણય તો આપે કાલે રાત્રે સંભળાવી દીધો છે. તો આપને વીનવું છે કે આપ મારી સૂચનાઓ સ્વીકારવાની સલાહ ના. ઠાકરસાહેબને આપો.
“પ્રભુ આપના હૃદયમાં વસે.
મો. ક. ગાંધીના વંદેમાતરમ્‌”