આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨


બહેન ઍગેથાએ પૂછ્યું : “અહીંની સ્થિતિ વિષે આપ શું ધારો છો ?”

ગાંધીજી કહે : “પથ્થરની દીવાલ સામે ઊભા છીએ. અહીંં બધું અંધેર છે. રેસિડેન્ટ રોજના કામકાજમાં વચ્ચે પડવાની પોતાની અશક્તિ જણાવે છે. પ્રથમ સભ્ય કહે છે રાજના હુકમોને અંગે પોલીસતંત્ર સંભાળવા પૂરતી મારે નિસ્બત છે. રાજ્યના મોટા મામલાઓ અને વડી નીતિ જોડે મારે લેવા દેવા નથી, ઠાકોરસાહેબને તો એક દરબાર વીરાવાળા સિવાય બીજા કોઈથી મળાય જ નહીં. રાજ્યમાં કશો હાદ્દો તેઓ ધરાવતા નથી, છતાં ખરા કર્તાહર્તા તેઓ છે. હુકમો ઉપર સહી સુધ્ધાં કરે. કોઈ વાતમાં કશું ઘટતું કરવા તેમને કહો તો એમ કહીને છૂટી પડે કે એ તો ઠાકોરસાહેબના હાથમાં વાત. આમ જ્યાં જાઓ ત્યાં કશા ઉકેલની વાતને ખંભાતી તાળાં દેવાયેલાં છે.”

સાંજે રાજ્ય તરફથી એક યાદી બહાર પડી. એ યાદીનો સૌથી ચોંકાવનારો ભાગ એ હતો કે ગાંધીજીએ ઠાકોરસાહેબને લખેલા કાગળમાં રાજ્ય તરફથી થયેલા જુલમો વિષે જો કે ગાંધીજીએ તો જાણી જોઈને કશો ઉલ્લેખ ન કરેલો તોપણ, એ બીનાના આધાર ઉપર ગાંધીજી સામે ઊલટો જ આરોપ ઘડી કાઢેલો હતો. એમાંથી એવો અર્થ નિપજવવામાં આવ્યો હતો કે ગાંધીજીએ કરેલી તપાસમાં રાજ્ય સામે કરવામાં આવેલા આરોપો જૂઠા હોવાની ગાંધીજીની ખાતરી થઈ હતી. આમ છતાં એ વિષે દિલગીરી ન દર્શાવવાને સારું ગાંધીજીનો દોષ કાઢવામાં આવ્યો હતો.

ગાંધીજીએ આ યાદીનો ટૂંકો જવાબ આપ્યો :

“હું ચૂપ એટલા સારુ જ રહ્યો હતો કે ખાનસાહેબ તથા તેમની નીચેના અમલદારો જેઓ સત્યાગ્રહીઓ જોડે થયેલા વર્તાવને સારુ મુખ્ય જવાબદાર હતા, તેમને ભૂલેચૂકે પણ અન્યાય ન થવા દેવો અને સંપૂર્ણ ન્યાય આપવા હું ઇંતેજાર હતો. પણ મારા મૌનની કદર કરવાને બદલે ઊલટો મારી સામે પુરાવા તરીકે દરબારી યાદીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યા છે. તેથી વસ્તુસ્થિતિ જાહેર કરવાની ફરજ પડે છે.
“બેઉ જેલોની મારી મુલાકાત પછી ખાનસાહેબને મેં કહ્યું હતું કે કેદીઓની કથની સાંભળીને હું સમસમી ઉઠ્યો છું અને તેમણે કરેલા આરોપ માનવા તરફ મારું વલણ છે. તેમાંના ઘણાને હું અંગત રીતે પિછાનું છું, અને બીજા પણ ઘણા સમાજમાં મોભાદાર અને પ્રતિષ્ઠિત ગણાતા સદ્‌ગૃહસ્થો છે, જેમનું કહેવું ખોટું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી હરકોઈ સાચું જ માને. તેથી મેં ખાનસાહેબને કહ્યું કે આરોપો એટલા બધા ગંભીર છે અને એટલા બધા પ્રકારના છે કે રાજ્યને ન્યાય આપવાનો માત્ર એક માર્ગ મારે સારુ એ છે કે, નિષ્પક્ષ અદાલત સામે તેની ન્યાયપુરઃસરની તપાસ સૂચવવો. … મારા ઉપર વચનભંગનો સામો આરોપ યાદીમાં કર્યો છે તે તો નરી નિષ્ઠુરતા છે.”