આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
સબરસ સંગ્રામ
ખેડૂત મહેસૂલ આપવાની ના પાડતો હતો. અનેક હેતુથી પ્રેરાઈને તે એમ કરતો હતો. ગાંધી પ્રત્યેની ભક્તિ, સ્વરાજની તમન્ના, અનાજના ભાવ બેસી જવાને લીધે વેઠવી પડતી આર્થિક મુશ્કેલી, એમ ઘણાં કારણો મહેસૂલ ન ભરવા માટે ભેળાં થયાં હતાં. આના જવાબમાં સરકારે ખેતરનો ઊભા પાક જપ્ત કરવા માંડ્યો, ભેંસો જપ્ત કરીને હરાજ કરવા માંડી, કૂવા ઉપરનાં એન્જિન અને પંપ ઉખેડી લઈ જવા માંડ્યાં. અને આ બધું નહીંં જેવી કિંમતે વેચી નાખવામાં આવતું. ખેડૂતને ચાળીસેક રૂપિયા મહેસૂલના ભરવાના હોય તે બદલ તે પોતાનું સર્વસ્વ ગુમાવી બેસતો. વળી અમલદારોએ એક તદબીર એવી કાઢી હતી કે મહેસૂલનો હપ્તો ત્રણ મહિના અગાઉ લેવાનું ઠરાવ્યું હતું. પરિણામ એ આવતું કે ૧૯૩૦ના બંને હપ્તા જેમણે ઑકટોબર સુધીમાં ભરી દીધા હોય તેમને ૧૯૩૧ના હપ્તા જાન્યુઆરીમાં ભરવાના આવતા. આ બધુ કાયદા મુજબ થતું હશે, પણ તેથી વેઠવી પડતી હાડમારી માણસને ગાંડો કરી મૂકે એવી હતી. અને આ બધાને માથે લોકોને પેાલીસનો બેહદ ત્રાસ વેઠવો પડતો. બંદુક અને લાઠીઓ લઈને પોલીસ આ ગામડાંમાં ફરતી અને જે મળે તે ખેડૂતને લાઠી અને બંદૂકના કુંદાનો સ્વાદ ચખાડતી. આવા જુલમનો ભાગ થઈ પડેલા માણસોનાં પિસ્તાળીસ નિવેદનો મેં લીધાં છે અને બે સિવાય બાકીના કેસોમાં તો તેમને પડેલા સોળ અને થયેલા ઘા મેં નજરે જોયા છે. એક છોકરીએ શરમને લીધે મને ઘા ન બતાવ્યા. આમાંના કેટલાક કેસો તો ગંભીર ગણી શકાય. એક માણસનો હાથ ભાંગી ગયેલો હતો, એક માણસનો અંગૂઠો કપાઈ ગયેલો હતો. જ્યારે બીજાઓને આખે શરીરે મારનાં ચાઠાં હતાં. કેટલાક કેસો દુરની હૉસ્પિટલમાં હોવાથી હું જોઈ નહી શકેલો. આમાં હેતુ ગમે તેમ કરીને મહેસૂલ ઓકાવવાનો હતો. માર મારવામાં આવે અને ભેંસ પકડવામાં આવે એટલે હપ્તાની મુદત ન થઈ હોય તોપણ મહેસૂલ ભરાવી દઈ શકાતું. મેં તો એવા કેસ પણ જોયા છે કે ખાતેદાર ન હોય એવા માણસને પણ મારીઝૂડીને તેની પાસેથી તેના પડોશીનું મહેસૂલ વસૂલ કરવામાં આવેલું. ઘણા કેસોમાં તો લડતમાં જોડાનાર ગામને કેવળ ત્રાસ ઉપજાવવાનો જ હેતુ હતો, કારણ ત્યાં મહેસૂલ વસૂલ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો નહોતો. આ એક પ્રકાર તો પોલીસને માટે ગમત ઠઠ્ઠો થઈ પડ્યો હતો. માણસને પૂછે : “ કેમ, તારે સ્વરાજ જોઈએ છે ને ? લે ત્યારે.’ એમ કહીને બેચાર લાઠીના ફટકા લગાવી દેવામાં આવે. આમાં વધારે ભૂડું તો એ હતું કે પોલીસના તેમ જ રેવન્યુ ખાતાના અમલદારો ખેડા જિલ્લામાં પાટીદાર લોકોની સામે બારૈયા લોકોને ઉશ્કેરી કોમી ઝેર ફેલાવતા. પાટીદારોને મારવાને, તેમનું દેવું હોય તો ન આપવાને, અને તેમનાં ઘર સળગાવી દેવાને બારૈયાઓને ઉશ્કેરવામાં આવતા. રશિયામાં કૉમ્યુનિસ્ટ અમલદારો ગામડામાં વર્ગવિગ્રહ જગાવવાને માટે જે જાતના ઉપાયો લેતા તેના કરતાં આ ઊતરે એવા નહોતા.



“બોરસદમાં કાચા કેદીઓને રાખવાની મેં એક જગા જોઈ. જાનવરને રાખવાના ખુલ્લા પાંજરા જેવી જ હતી. ત્રીસ ચોરસ ફૂટ જેવડા એ પાંજરામાં