આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૫
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

“હિન્દુસ્તાનના લોકોની વિશાળ બહુમતીની ઇચ્છાની વિરુદ્ધ જઈને અને પરિણામોની પરવા કર્યા વિના બ્રિટિશ સરકારે પોતાની મરજી હિંદ ઉપર ઠોકી બેસાડવાનો નિર્ણય કર્યો છે તેથી અતિશય ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે. કૉંગ્રેસની માગણીઓનો તેણે ઇનકાર કર્યો છે એ વસ્તુ હિન્દુસ્તાનને તલવારને જોરે કબજે રાખવાના બ્રિટિશ સરકારના નિશ્ચયની સાબિતી છે. પોતાનો આ હેતુ બર લાવવાને માટે સેંકડો કાર્યકર્તાઓ, જેમાં કૉંગ્રેસના ચુનંદા સેવકો છે, તેમને ડિફેન્સ ઑફ ઇન્ડિયા ઍક્ટ્, જેને લોકમતનો જરાયે ટેકો નથી, તેની નીચે વીણી વીણીને પકડીને કૉંગ્રેસનું બળ તોડી નાખવાના પ્રયત્નો તેણે કરવા માંડ્યા છે. બ્રિટિશ સરકારને તેની આફતને સમયે ન મૂંઝવવાની કૉંગ્રેસની નીતિનો અનર્થ કરવામાં આવે છે અને તેને ધુત્કારવામાં આવે છે. પોતાની સ્થિતિ ખરી છે એ પુરવાર કરવા માટે તથા પ્રજાનાં માનઆબરૂ અને સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાને માટે લડત ચલાવવાની એ કૉંગ્રેસને ફરજ પાડે છે. હિન્દુસ્તાનના કરોડો મૂંગા અને મહેનત મજૂરી કરનારા લોકોના આત્યંતિક કલ્યાણ અને તેમની મારફત સમસ્ત દલિત માનવતાના કલ્યાણ સિવાય કૉંગ્રેસનો બીજો કશો જ ઉદ્દેશ નથી.
“પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતાં કારોબારી સમિતિ તા. ૧૫મી સપ્ટેમ્બર ને રવિવારે મહાસમિતિની બેઠક બોલાવવાનું નક્કી કરે છે.
“આ કારોબારી સમિતિ તમામ કૉંગ્રેસ સંસ્થાઓને આદેશ આપે છે કે તેમણે પોતાની પ્રવૃત્તિઓ પુરજોસથી ચલાવવી, ખાસ કરીને તાજેતરમાં ઊભી થયેલી ઘટનાઓ અને તે વિષે કૉંગ્રેસની સ્થિતિ લોકોને સમજાવવી. સત્યાગ્રહ કમિટીઓએ એ ધ્યાન રાખવું કે, જે લોકોએ પ્રતિજ્ઞા લીધેલી છે તેઓ પ્રતિજ્ઞાની શરતો પ્રમાણે વર્તે અને રચનાત્મક કાર્ય તથા કૉંગ્રેસની બીજી પ્રવૃત્તિઓ ચલાવે.”

મુંબઈમાં તા. ૧પમી સપ્ટેમ્બરે મળનારી મહાસમિતિની બેઠકમાં સવિનય ભંગનો ઠરાવ જરૂર પસાર થશે એમ સરદાર માનતા હતા. તે માટે ગુજરાતને તૈયાર કરવા તેમણે ભાષણ આપવા માંડ્યાં. તેમાંથી થોડાક ઉતારા અહીં લઈશું.

તા. ૮-૯-’૪૦ના રોજ મળેલી વઢવાણની જાહેર સભામાં તેમણે કહ્યું:

“લડાઈ થઈ ત્યારે કૉંગ્રેસે સલ્તનતને પૂછ્યું: અમને પૂછ્યા વગર અમારા સ્વાર્થે કે પરમાર્થે તમે અમને યુદ્ધમાં દાખલ થયેલા ગણ્યા એ તો ઠીક, પણ હવે તો એ પરમાર્થ સમજાવો, જેથી અમારો સ્વાર્થ કે પરમાર્થ જે હોય તે સમજીને અમે પગલું ભરી શકીએ. પણ આપણને સીધો જવાબ ન મળ્યો. મીઠી મીઠી વાતો કરી બાર બાર મહિના મસલત ચલાવી. કેટલીયે વાર ગાંધીજીએ વાઈસરૉયને કારણે ધક્કા ખાધા. પણ સ્વીકાર કરવા જેવું કાંઈ ન મળ્યું. આપણે ધીરજ ખૂબ રાખી, કારણકે મુશ્કેલીને સમયે પજવણી કરવાનો આપણો ઇરાદો ન હતો.
“પણ હવે ધીરજનો અંત આવી રહ્યો છે. સલ્તનતે પોતાનું રૂપ પ્રગટ કરવા માંડ્યું છે. આપણામાં અત્યારે એ ભાગલા પાડી રહી છે. ભાગલા પાડવા