આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૮
સરદાર વલ્લભભાઈ

પ્રચાર તેમણે કરવા માંડ્યો. બ્રિટનના મુત્સદ્દીઓ પ્રચાર માટે અમેરિકામાં પહોંચ્યા છે.
“કૉંગ્રેસે તો કહ્યું હતું કે, જો અમારી ખરા હૃદયની મદદ ઇચ્છતા હો, તો વાઈસરૉયની કાઉન્સિલવાળી વાત બંધ કરી તેની જગ્યાએ બધા પક્ષની રાષ્ટ્રીય સરકાર બનાવો. એમાં કૉંગ્રેસના, લીગના, બીજા મુસલમાનોના, હિંદુ મહાસભાના અને બીજા પક્ષના પ્રતિનિધિઓ હોય. ભલે તેમાં અંગ્રેજ પણ રહે. પણ આ તંત્ર પ્રજાને જવાબદાર હોવું જોઈએ. તેની સાથે તમારે એટલું કહેવું જોઈએ કે જ્યારે લડાઈ બંધ થશે ત્યારે હિંદના બધાય પ્રાંતોના અને પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે બંધારણ ઘડે તેમાં તમે દસ્કત કરશો. પણ તેમણે તો એક પણ વાત કબૂલ ન કરી. અને પહેલાંની એની એ જ વાત ફરીથી કહેવા માંડી. આ તો : સવિલ સર્વન્ટોવાળી વાઈસરૉયની કાઉન્સિલને ખાલી મોટી કરવાની વાત છે. તેમાં તમે આવો અને મદદ કરો એ જ વાત છે. વાઈસરૉયના તમે સલાહકાર ગણાઓ છતાં તેમને જે કાંઈ કરવું હોય તે તેઓ કરે, બધી ચાવીઓ વાઈસરૉયના હાથમાં જ રહે. આવા શંભુમેળામાં તમે પણ આવીને બેસો, એ જ વાત છે. આ કંઈ નવી વાત નથી. ત્રણ ચાર વાર વાત કરી હતી એની એ વાત તેઓ ફરીથી રજૂ કરે છે.
“કૉંગ્રેસની ચોખ્ખી વાત છે કે અત્યારના લડાઈના સમયમાં એ સરકારને પજવણી કરવા નથી માગતી. પણ કૉંગ્રેસની દરખાસ્તને તિરસ્કારવામાં આવે છે. વાઈસરૉયનું જાહેરનામું એ તો કૉંગ્રેસની હસ્તી પર એક ઘા છે. થાય તે કરી લો એવો પડકાર એમાં ગર્ભિત રીતે રહેલો છે. હિંદી વજીરે જે વાત કહી છે તેમાં પણ નવું કાંઈ નથી.
“મુંબઈની બેઠકમાં હવે એક જ કામ કરવાનું છે. મહાત્મજીને કહેવાનું છે કે તમે પાછા આવો અને તમે કહેશો તેમ કરીશું. હવે એ કહેશે તેમ આપણે કરવાનું છે. તેમાં હિંદુસ્તાનની શક્તિની, કૉંગ્રેસની શક્તિની પરીક્ષા થવાની છે. કૉંગ્રેસનો ઉદ્દેશ જો સાચો હશે, તેની દાનત સાચી હશે અને મુલકની તેણે સાચી સેવા કરી હશે તો તે દેખાવાનું છે. ભલે સત્તા બીજાઓ પાસે જાય. કૉંગ્રેસ એવી જાજમ ઉપર નહીં બેસે જેમાં કીડા કે જંતુ પડેલા છે. નાઝીવાદ અને શાહીવાદ આમ તો સરખા જેવા જ છે. એક પ્લેગ છે અને બીજો કોગળિયું છે. કોગળિયું ઘરમાં છે અને પ્લેગ બહાર છે.
“સલ્તનતે તો આપણી પાસે જબરદસ્તીથી આ લડાઈ ઊભી કરાવી છે. કૉંગ્રેસ પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. તમને બધાને એક છેવટની વિનંતી છે કે આ આપણો આખરી સોદો છે. આપણે એક જ વસ્તુ કરવાની છે. તે એ છે કે કોઈની હિંસા ન કરવી, કોઈને કષ્ટ થાચ તે ન કરવું, સ્વમાનના રક્ષણ ખાતર આપણે બધું કષ્ટ સહન કરવું. આજે જિંદગીની તો કાંઈ કિંમત નથી. વિમાનમાં ગોળાઓ ભરીને ઘણા વિમાનીઓ જાનને ખિસ્સામાં લઈને જાય છે. હજારો માણસો પોતાના જાનને હાથમાં લઈને ફરે છે. આપણે પણ, જ્યારે આપણી હસ્તી ઉપર હુમલો થાય છે, ત્યારે શું જવાબ આપવો ?