આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૯
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

“આ સમયે તમે કોઈ એવી આશા ન રાખતા કે કૉંગ્રેસ બધો વખત દોરવણી આપે. દરેકની પોતાની ફરજ છે કે તેણે લડાઈના ખુલ્લા મેદાનમાં આવી જવું જોઈએ. મને તો ચોખ્ખાં ચિહ્ન જણાય છે કે લડાઈ આવી રહી છે. હવે ફરી આપણે મળીએ કે ન પણ મળીએ. હિંદના આધુનિક ઇતિહાસના ઘડતરની જવાબદારી આપણે અદા કરવાની છે.”

પછી મહાસમિતિની બેઠક મુંબઈમાં થઈ. તા. ૧૬ મી સપ્ટેમ્બરે તેણે જે ઠરાવ પસાર કર્યો, તેમાં હિંદુસ્તાનની તત્કાળ પૂરતી જ નહીં, પણ સ્વતંત્ર થયા પછીની નીતિ પણ જાહેર કરી. એ રીતે એ ઠરાવ આજે પણ મહત્ત્વનો ગણાય. નીચે તે આખો આપ્યો છે :

“હિંદુસ્તાનમાં પડેલી રાજપ્રકરણી આંટીનો ઉકેલ આણવાને અને બ્રિટિશ પ્રજા સાથે સહકાર કરીને રાષ્ટ્રનું હિત સાધવાને કારોબારી સમિતિએ – મહાત્મા ગાંધીનો સહકાર જતો કરીને પણ – તા. ૭મી જુલાઈના તેના દિલ્હીના ઠરાવમાં બ્રિટિશ સરકારની આગળ એક ઑફર (દરખાસ્ત) કરી હતી. તેને પાછળથી પૂનામાં મહાસમિતિએ મંજૂરી આપી હતી. એ દરખાસ્તને બ્રિટિશ સરકારે એવી રીતે ધુતકારી કાઢી છે કે, તે ઉપરથી ચોક્કસ દેખાઈ આવે છે કે હિંદુસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવાનો તેનો જરા પણ ઇરાદો નથી. તેનું જો ચાલે તો તે બ્રિટિશ શોષણને સારુ અમર્યાદિત મુદતને માટે આ દેશને પોતાના તાબામાં રાખી મૂકે. બ્રિટિશ સરકારનો આ નિર્ણય બતાવે છે કે તે હિંદુસ્તાન પાસે બળજબરીથી પોતાનું ધાર્યું કરાવવા માગે છે. તેની હમણાંની નીતિ એ પણ બતાવે છે કે તેણે પ્રજાના બહુ જ મોટા ભાગની મરજી વિરુદ્ધ જર્મની સામેની લડાઈમાં હિંદુસ્તાનને સામેલ કર્યું છે અને લડાઈને સારુ તેની રાષ્ટ્રીય સાધનસામગ્રીનું તે શોષણ કરી રહી છે. તેનો વિરોધ કરવા સારુ લોકમત છૂટથી પ્રગટ થાય એ તે સહન કરવા તૈયાર નથી.
“જે રાજનીતિ હિંદુસ્તાનના આઝાદી માટેના જન્મસિદ્ધ હકનો ઇનકાર કરે છે, જે લોકમતને છૂટથી પ્રગટ થવા દેતી નથી અને જેને પરિણામે પોતાની પ્રજાની અવનતિ થાય છે અને ગુલામી ચાલુ રહે છે, એવી રાજનીતિની મહાસમિતિ બરદાસ્ત ન કરી શકે. આવી રાજનીતિ ચલાવીને સરકારે અસહ્ય પરિસ્થિતિ પેદા કરી છે. પ્રજાની આબરૂ અને મૂળભૂત હકોની રક્ષાને સારુ લડત ઉપાડવાની તે કૉંગ્રેસને ફરજ પાડી રહી છે. ગાંધીજીની આગેવાની તળે હિંદની આઝાદીની રક્ષાને સારું અહિંસાથી કામ લેવાને કૉંગ્રેસ પ્રતિજ્ઞાબદ્ધ છે. તેથી રાષ્ટ્રની આઝાદીની હિલચાલના આ અતિ ગંભીર અને વિષમ પ્રસંગે મહાસમિતિ તેમને વિનંતી કરે છે કે, જે પગલું લેવું ઘટે તેમાં તેઓ કૉંગ્રેસને દોરે. મહાસમિતિએ પૂનામાં બહાલ રાખેલો દિલ્હીનો ઠરાવ જે તેમને તેમ કરતાં રોકતો હતો, તે હવે રહ્યો નથી. તે રદ થઈ ગયો છે.
“મહાસમિતિ બ્રિટિશ પ્રજા પ્રત્યે તેમ જ યુદ્ધમાં સંડોવાયેલી ઇતર પ્રજાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. જોખમ અને સંકટની સામે બ્રિટિશ પ્રજા જે શૂરાતન અને સહનશક્તિ બતાવી રહી છે તેની પણ કૉંગ્રેસીઓથી સ્તુતિ