થાય તો નબળું પરિણામ આવવું જ જોઈએ. 'સ્વરાજ્ય' મેળવવું એવો અવાજ એક કોરથી આવે છે. વિલાયતના જેવાં કારખાનાં કાઢી ઝપાટાભેર પૈસો એકઠો કરવો એવો અવાજ બીજી તરફથી આવે છે.
સ્વરાજ્ય શું છે તે આપણે ભાગ્યે જ સમજતા હોઈશું. નાતાલને સ્વરાજ્ય છે, છતાં અમે કહીએ છીએ કે નાતાલના જેવું આપણે કરવા માંગતા હોઈએ તો એ સ્વરાજ્ય નરકરાજ્ય જેવું છે. તેઓ કાફરોને કચરે છે, હિંદીને હણે છે. સ્વાર્થમાં આંધળા થઈને સ્વાર્થરાજ્ય ભોગવે છે. કદી કાફરો અને હિંદી નાતાલમાંથી જાય તો તેઓ માંહોમાંહે લડી સમાપ્ત થઈ જાય.
ત્યારે શું ટ્રાન્સવાલના જેવું સ્વરાજ્ય મેળવીશું ! જનરલ સ્મટ્સ તેઓના મુખીઓમાંના એક છે. તે પોતાના લખેલા કે બોલેલા બોલ પાળતા નથી. કહે છે કંઈ, કરે છે કંઈ. અંગ્રેજો તેનાથી કાયર થઈ ગયા છે. પૈસો બચાવવાને બહાને અંગ્રેજ સિપાઈઓની ચાલુ રોજી ઉપર તેણે પગ મૂક્યો છે ને તેની જગ્યાએ ડચને રાખે છે. અમે નથી માનતા કે તેમાંથી છેવટે ડચ પણ સુખી થાય. જેઓ સ્વાર્થની ઉપર નજર રાખે છે તે પારકી પ્રજાને લૂંટી પોતાની પ્રજાને લૂંટવા સહેજે તૈયાર થશે.