આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
सासुवहुनी लढाई
 

વેરી થઈને, સંબંધે આવી, હાય મારીના, લાખેણા જીવન, હાયરે જોખમ, હાય કીધુંજો, દકરી મારી, રૂપની રૂડી, આયુશની ટુંકી, અકલની મોટી, થોડામાં ઘણું, હાય કરવાને, સરજી હુતીજો, હાયરે દીકરી, જેજે વિટંબણા, હાય વીતી તે, પેટમાં સમાવી, મારી આગળતો, કોઈ દહાડોના કહીજો, કહીને હઈયું, ઠલાવ્યું હોત તો, હાય રે મને, આવડું ન લાગત.” ઇત્યાદિ.

સુંદરના પીયરની પડોશણ હતી તે બોલી, “સુંદર દીકરી, બાપના ઘરની, ઘણી લાડકી, ઘણી દઝોઇતી, હાય હતું પણ, સાસરીઆં એ કોડીને મૂલે, હાય રે કીધી.” ઇત્યાદિ.

એક પછી એક બેઉ તરફનાએ મસ કૂટ્યું, ને પછી રોતાં રોતાં તળાવમાં નાહી આવ્યાં. કેટલીકવારે કૂકવો કરતા ડાઘુ પણ આવ્યા. કોગળા કરી ઘરમાં પેઠા. સ્મશાન કોણ આવ્યા હતા, કોણ નહોતા આવ્યા, તે વાત અનપુણાએ પુછી, ને શાસ્ત્રીએ હરકત કરી હતી તે કહી. એનો ભાઈ ખુશીની ખબર લાવ્યો કે પઠાણની બદલી થઈ, ને તેની જગાએ બીજો થાણદાર કાલ પરમ આવવાનો છે. એને કાંઈ આપતે કરતે હરિનંદ છુટશે એવું મોતીચંદ અને કીસનલાલ કહે છે. અનપુણા કહે મારો હરિનંદ છુટતો હોય તો મારૂં હજારનું ઘરેણું ખુશીથી આપું.

સુંદરના શબને લઈ ગયા પછી, પઠાણે કીસનલાલ શીરસ્તેદારને બોલાવી કહ્યું આજ સુકરવાર છે તેથી હું કચેરીમાં આવવાનો નથી. સોમવારે સવારના નવ વાગે હરિનંદ ખૂનીનો ઇનસાફ કરવો છે, માટે મુકરદમાના કાગળ તઈઆર રાખજો, ને શાહેદોને આજથી સમન મોકલી વેળાસર જાણ કરો કે તે વખતે હાજર રહે.

એ પરમાણે હુકમ આપે છે એટલે કાસદે આવી કાગળ આપ્યો. એ પત્ર અમદાવાદથી ગુજરાતના પાદશાહી સુબાએ મોકલ્યો હતો. એમાં લખ્યું હતું કે તમારી નોકરીથી અમે ઘણા રાજી થયા છીએ. મહાલનો બંદોબસ્ત તમે ઘણો સારો રાખ્યો, મેહેવાસી લોકને વસ કર્યા, ઉજડ ગામો વસાવી સરકારની પેદાશ વધારી, ને રૈયતને સુખી કરી; તમે લઢાઈમાં જેવા બહાદુરછો તેવાજ ઇનસાફ કરવામાં, અને કારભાર કરવામાં કુશળ છો; માટે તમને હજુરમાં દફતરદારની જગા આપવામાં આવી છે, અને જાફરખાનને તમારે ઠેકાણે થાણદાર ઠેરવ્યા છે; તેઓ અત્રેથી કાલે રવાના થશે. તેઓ આવે કે તુરત તમે નીકળજો.

શનિવારે સાંજે જાફરખાન આવી પહોંચ્યા, ને બીજે દિવસે પઠાણે તેને સરકારી દફતર વગેરે સ્વાધીન કર્યું. જાફરખાને વિનંતી કરી કે બે દહાડા રહીને