સરકારનો, કે સરકારી અમલદારોનો, કે કોઈ ખાનગી ધનવાન ગૃહસ્થનો આશરો લીધા વિના આ પુસ્તકની પહેલી આવૃત્તિની ૧૦૦૦ પ્રતો બહુધા પોતાના ગુણે કરીને વેચાઈ ગઈ તે ઉપરથી હું અનુમાન કરું છું કે મારા સ્વદેશીઓને સારા ગ્રંથો વાંચવાનો કાંઈક શોક થવા માંડ્યો છે. એથી હું ખુશી થયો છું. ખરી કેળવણીનો પ્રસાર લોકમાં થવા માંડ્યાની એક સાબિતી સારાં પુસ્તકોનો ખપ છે. પોતાના કામ કાજથી પરવારી નવરાશની વેળામાં નીત્ય પોત પોતાની ઈચ્છા પ્રમાણે વિદ્યાના, કે ઇતિહાસના, કે સુબોધકારી વારતાના ગ્રંથો, ચોપાનીઆં તથા વર્તમાનપત્રો વાંચવાં એ કેળવાયેલાં સ્ત્રી પુરૂષોનું લક્ષણ છે. ગજા પ્રમાણે સર્વે સજનોએ પોતાના ઘરમાં ચોપડીઓનો સંગ્રહ રાખવો જોઈએ. ગૃહસ્થના ઘરમાં બેઠકના ઓરડાને શોભાવનાર વસ્તુઓમાં પુસ્તક સંગ્રહ મુખ્ય છે. સઘળા સુધરેલા દેશોમાં ઘેરે ઘેર એ જોવામાં આવે છે. એ કારણથી તથા વાંચવાનો શોક બધા ભણેલા લોકમાં સ્થાપન થયાથી એ મુલકોમાં યોગ્ય પુસ્તકો રચનારને પુષ્કળ ઉત્તેજન મળે છે. ગ્રંથકાર વિદ્વાનોને સરકારી મદદની ગરજ પડતી નથી. જેઓ લોકપ્રિય પુસ્તકો રચે છે. તેઓને લોક તરફથી એટલો બધો આશરો મળે છે કે તેઓ ધનવાન થાય છે, અને સાધારણ લખનારાનું પણ સુખે ગુજરાન ચાલે છે. ગ્રંથકારોને ટીપમાં લેનારનું નામ અને ચોપડીની કેટલી નકલો તે લેશે એ ભરાવવા પડે કે તેની તરફના માણસોને ઘેર ઘેર રખડવું પડતું નથી; કોઈની ખુશામત કરવી પડતી નથી. ગ્રંથો પ્રસિદ્ધ કરનારની મોટી દુકાનો ચાલે છે. તેઓ નામીચા ગ્રંથકારોને હજારો રૂપીઆ અગાઉથી આપી તેઓના પુસ્તકો છાપવાનું તથા વેચવાનું કામ પોતાને માથે લે છે. જેઓના ગ્રંથોમાં માલ નથી હોતો તેઓને પ્રજાની સાદ મળતી નથી એ વાજબી છે. ઉત્તમ ગ્રંથકારોને પણ જ્યાં સુધી કેળવણી ખાતાના, કે કોઈ શ્રીમંતના આધાર ઉપર રહેવું પડશે ત્યાં સુધી કેળવણીનો પ્રસાર થયો નથી એમ નક્કી સમજવું.
જેમ સ્વદેશીઓને પુસ્તકો વેચાતાં લઈ વાંચવાની ભલામણ કરું છું, તેમ તેમનો પક્ષ કરી કહું છું કે વાંચવા જોગ ગ્રંથ હોવા જોઈએ. બધા ગ્રંથોને નહિ પણ માત્ર સારા ગ્રંથોને જ આશરો આપવાને પ્રજા બંધાયેલી છે. જે લખવા બેસે તે સારી ચોપડી બનાવી શકે તેવું નથી. ગ્રંથ રચવા જોગ વિષેશ બુદ્ધિ – કેટલાક માણસોમાં સ્વભાવથી છે. હોય તેની જોડે તેઓમાં સુનીતિ વિદ્યા, અને અનુભવ હોવા જોઈએ. એ શક્તિ અને એ ગુણો જેમનામાં નથી એવા આદમીઓ નાલાયક પુસ્તકો રચી