ઠરાવેલા હોય એમ જણાય છે. એવા કુળવાન પાટીદારોનાં ચરોતરમાં તેર ગામ છે. સોજીતરા, વસો, નડીઆદ, સાવલી, ભાદરણ, કરમસદ, ધર્મજ, નાર, ઓડ, ઉતરસંડા, સુણાવ, થામણા, અને પીજ. આ તેરમાંનાં પહેલાં ત્રણ અને અરધું સાવલું વધારે કુળવાન છે. બાકીનાં તેથી ઉતરતાં છે. એ તેરે ગામના લોકો બધા સરખા કુળવાન નથી. બધાં ગામોમાં અમુક ભાગ વધારે કુળવાન હોય છે, બાકીનાં ઉતરતાં હોય છે. પહેલાં ત્રણમાં પણ કેટલાંક તો બાકીનાં સાડા નવ ગામના જેવા જ છે. એ સાડા નવમાં પણ તેમાં કેટલીક ખડકીઓ વધારે ને કેટલીક ઓછી કુળવાન. એ ઉપરથી સાફ જણાય છે કે, જેને વધારે ગરાસ હતો તે વધારે કુળવાન થએલો. પણ પાછળથી જેઓએ કેટલીક હરકતોને અને આફતોને લીધે ગરાસ વેચ્યો તેઓ ઓછા કુળવાન થયા. ને તેમજ થવું જોઈએ. પણ એ કુળનો ફેરફાર હવે તેઓની હાલત પ્રમાણે થતો નથી. જેઓ ઉપલાં સાડા ત્રણ ગામમાં વધારે કુળવાન છે. તેઓ ઘણું કરી દેવાદર અને ભીખારી છે; તેમને ખાવાનું મુશ્કેલીથી મળે છે. તેઓ જવાન હોય છે ત્યાં સુધી બે, ત્રણ, ચાર, અને પાંચ કન્યા પરણે છે, ને તેના પેહેરામણી તથા બીજાં દાપાંના રૂપીઆ ઉપર ગુજરાન ચલાવે છે. વખતે કન્યાના બાપના આપેલા પૈસા લેણદાર લઈ જાય છે. તેઓ પાંચ પરણે છે પણ એકથી વધારે સ્ત્રી ઘેર રાખતા નથી. કોઈ દયાળુ હોય છે તો વારાફરતી તેડે છે, નહીં તો અનુક્રમે પોત પોતાને પીએર રહે છે. છેલ્લી નવી ફક્ત સાસરે રહેવા પામે છે. પોતે ઘરડો થાય ને છોકરાં છૈયાં થાય ત્યારે છોકરાઓને પરણાવી તેના રૂપીઆ ઉપર ગુજરાન ચલાવે છે. તેઓ સારા પૈસાદાર કણબીને મુંડે છે, તેને ઘેર પરણે એટલે કણબી તણાઈ મરી જાય છે. જો કણબી પૈસાદાર હોય ને વેહેવાઈને રહેવાને ઘર ન હોય તો જમાઈને સારૂ ઘર પણ બંધાવી આપે છે. એ કુળવાનો ખેતી કરવાની મહેનત કરતા નથી. તેઓ પોતાની જમીનનું મોહ ભાગ્યે મહીનામાં એકવાર દેખે છે, કણબીઓ મેહેનત કરે એટલે શા માટે જાય. એ કુળવાનોમાં ઘરડાઓને બાપા કહે છે. એ બાપા બજારમાં જાય તો કોઈ ગજ માદરપાટ ધીરે નહીં, એવી આબરૂ ઘણાકની હોય છે, કેમ કે તેઓની પાસે ભાગ્યે જ પૈસા એકઠા થાય કે કરજદારને આપે. વખતે વખતે જરૂર પડેથી જમીન વિનાના પણ થાય છે. એ ઉપરથી ત્યાં એક કહેવત ચાલે છે કે “બાપા તેટલા ન આપા.”
લગ્નચાલ – લગ્ન થતાં પહેલાં પેહેરામણીનો આંકડો ઠરાવે છે. કન્યા કણબીની હોય છે તો તે ઘણો મોટો હોય છે. વર પરણાવા જાય ત્યારે જાનને જમાડવામાં,