આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૦ મું.


વીજીઆનંદે પોતાના મનમાં નક્કી કીધું કે વહુને ફકીરને ત્યાં જવા દેવી નહી. એ ઠરાવ અમલમાં લાવવો કઠણ હતો, કેમકે એનો તેના ઉપર ધાક નહતો; સામુ બોલવાની અને કહ્યું નહીં માનવાની ટેવ પ્રથમથી પડવા દીધી હતી તેથી એનો તેની આગળ ઝાઝો વકર નહોતો. વળી ચંદાગવરીની વય થયા છતાં હઘરણી આવતી નહતી માટે દોરા ચીઠી, જંતરમંતર આદિ અનેક ઉપાય તે આણવાને પોતાના સ્વામીની આજ્ઞાથી ને સહાયતાથી કરતી. ફકીરની પાસે પણ એજ કારણસર ગઈ હતી. કોઈ શક ન લાવે વાસ્તે પોતાની માને જોડે લીધી હતી. પહેલી જ મુલાકાતમાં ફકીરે તેને પોતાના કપટની જાળમાં પકડી હતી. ચંદાને એમ લાગ્યું કે અહીં મારું કામ નિશ્ચે થશે. માટે એનું મન ફેરવવું એ સહેલું કામ નહતું. તેના બનેવી રવીનારાયણે જે સારી અસર તેના મન ઉપર કરી હતી તે બીલકુલ જતી રહી હતી.

વીજીઆનંદ એના નાનાભાઈના જેવો જંગલી ક્રૂર નહોતો. અબળા ઉપર હાથ ઉપાડવાના નામર્દાઈ ભરેલા કામને તે ધિક્કારતો હતો. તેણે પહેલાં સામ ઉપાયનું કૌવત અજમાવી જોયું. બીજે દિવસે રાત્રે ચંદાવરી પોતાના ઓરડામાં આવી દીવા આગળ બેસી પાન સોપારી તઈઆર કરતી હતી ને વીજીઆનંદ હીંચકે બેઠા હતો, તેવેળા વીજીઆનંદે વાત કાઢી. તેણે કહ્યું. “અલી કાલે તું ને તારી મા ચૌટા ભણી ક્યાં જતાં હતાં ? ચંદાએ જવાબ ના આપ્યો ને સોપારી ભાગ્યાં કર્યું, ત્યારે તેણે કહ્યું કેમ અલી બોલતી નથી સાંભળ્યું નહીં કે શું ? ચંદા – જાણીને પુછે તેને શું કહીએ.

વી. – ના હું નથી જાણતો, મને નથી સાંભરતું.

ચંદા - વળી મેં તમને કહ્યું જ હતું તો, કે ચૌટામાં એક નવો સાંઈ આવ્યો છે, ને તેને ઘેર મારા જેવાં દુખીઆં બહુ બઈરાં જાય છે, ને હું મારી બા જોડે જવાની છું. એટલી વારમાં ભુલી શેણે ગયા.

વી. – ખરું પણ મેં તને ત્યાં જવાની ના કહી હતી, તોએ મારા ઉપરાંત થઈને ગઈ કેમ.

ચંદા – એમાં ઊપરાંત થઈને શાની, સહુ જાય છે ને હું ગઈ.

વી. – વારૂં હવે ફરીને ન જઈશ. જો પેલી હજામડીને ઘેર ફેરા ખાઈને તું થાકી અને રૂપીઆ ખોયા. પહેલાં તું કહેતી હતી કે તેને વસીકરણ