અમારી પ્રતિજ્ઞા ઈ. સ. ૧૯૦૮ ની પૂર્વનાં સાઠ વર્ષમાં ઉદ્ભવેલા ગુજરાતી સાહિત્યનું અવલોકન કરવાની છે. આ વિષયને અંગે સાહિત્ય શબ્દ એના વિસ્તૃત અર્થમાં વાપર્યો છે. જૂદા જૂદા વિષયપર ગુજરાતી ભાષામાં લખાયલાં પુસ્તકો જે આ સમયમાં પ્રકટ થયાં છે અને જેને લીધે ગુજરાતી ભાષાના ભંડોળમાં વધારો થયો છે એ બધાંનું વિવેચન કરવું ઈષ્ટ છે. પણ આ આનંદદાયક વિષયનો આરંભ કરીએ તેની પૂર્વે આ સાઠ વર્ષની પહેલાં ગુજરાતી સાહિત્યની સ્થિતિ કેવી હતી તે જાણવું આવશ્યક છે. ગમે તેવાં પણ પ્રથમનાં પુસ્તકો, ગમે તેવી પણ પ્રથમની રીતિયો અને ગમે તેવો પણ પ્રથમનો અભ્યાસ–ક્રમ જાણવાની ખાસ જરૂર છે. એથી પૂર્વ સ્થિતિનું ભાન થઇ ને હાલની જોડે તેની તૂલના કરી શકાય. જૂનામાં શું શું હતું, નવામાં શો શો ફેરફાર થયો છે વગેરે સરખામણી કરવાથી હાલની વસ્તુ–સ્થિતિનું ભાન થઈ વિચાર કરી શકાય. આવા ઉદ્દેશથી જ માત્ર અમે ઉપર કહેલા સાઠ વર્ષના કાળની પૂર્વની કેટલીક હકીકત કહેવાને પ્રવૃત્ત થઇએ છઇએ.
સાહિત્યના ફેલાવામાં મુખ્ય મદદ કરનાર છાપખાનાંને અભાવે તે વખત ગ્રંથો લખવાનું કામ લહિયાઓ કરતા. ગ્રંથો ઉતારવાનું કામ કેટલું વિકટ હતું તેનો સાધારણ ખ્યાલ દરેક પુસ્તકને અંતે લહિયાઓ એક શ્લોક લખતા તેના અર્થથી દૃષ્ટિગોચર થાય છે.