"॥ भग्न पृष्ठ कटि ग्रीवं मुष्टिबमधोमुखम् ॥
॥ कष्टेन लिखितं ग्रन्थं यत्नेन परिपालयेत् ॥ १ ॥ "
નાનો ગ્રંથ હોય તો પણ તેની પ્રત મેળવતાં અને ઉતરાવી લેતાં ઘણો શ્રમ પડતો અને ખર્ચ થતું.
સાધારણ માણસો આખ્યાનો અને કથારૂપે હોય તેટલી જ જૂના કવિયોની કવિતા વ્યાસને મોઢેથી સાંભળી શકતા. કોઈ કોઈ કથા કહેનારા પ્રાસાદિક શક્તિવાળા હોઈ મોટો ભાગ લેભાગુ હતા. રાત્રે વાળુ કર્યા બાદ શેરીએ શેરીએ અને પોળે પોળે વ્યાસજીઓ કથા કહેતા. પ્રસિદ્ધ વ્યાસોની કથા સાંભળનારની ઘણી ઠઠ જામતી. કેટલાક વાચાળ વ્યાસો ગમે તે પ્રસંગને અનુકૂળ લોકોને હસવું આવે એવું તત્કાલ જોડકણું જોડીને ગાતા. તે જ ક્ષણે થયેલા બનાવ સંબંધી હોવાથી શ્રેતાઓમાં વાહવાહ થતી. ખેડામાં કથા કહેતાં કાંઈ કારણથી સરકારી નોકરોથી નારાજ થયેલા અને ખેડા ઉપર કોપેલા વ્યાસે કહેલું જોડકણું રમુજી જાણી નીચે આપીએ છઈએ:—
“અદાલતનાં ઉંધાં વળજો, મહેતા સરવે મરજો;
ખેડાને ખપ્પરમાં લેજો, મશાણ સરખું કરજો.”
કેટલાક વ્યાસ તો ક્ષુદ્ર શક્તિવાળા હોઈ માત્ર રાત્રિની શાંતિમાં ભંગ જ કરતા. એમનું રમુજભર્યું ચિત્ર અમદાવાદના કૃષ્ણરામ મહારાજ પોતાના કળિકાળના ગરબામાં ઠીક આપે છે. તેઓ કહે છે કે:—
"વાટે વાટે વ્યાસ, થઈને માણ વગાડે;
"પાંચેક બેઠા પાસ, તેહ તાળીઓ પાડે.
“શ્રૂતિ સ્મૃતિની વાત, કાળ જીવ ઈશ્વરની;
“જાણે નહિ કાંઈ જાત, રાગ તાલ કે સ્વરની.
“પિંગળ રીતે છંદ, કવિતા કરી ન જાણે;
"પોતા તણા પ્રબંધ રચી રાગડા તાણે.”
લોકોની કેળવણી સાધારણ રીતે ગામઠી નિશાળે શરૂ થઈ ત્યાં જ પૂરી થતી. મહેતાજીઓ લીંપેલી ઓટલી કે પાટ ઉપર બેસતા. છોકરાઓ સામે