અભણ પસ્તાવા લાગ્યા, ભણેલા ફૂલાવા લાગ્યા
પુત્રોને પઢાવા લાગ્યા ભટ ભાટ ચારણો. ૪૭"
દેશી રાજ્યમાં કવિયોની કદર રહી નહોતી તેથી એ વર્ગ અધમ થઈ નાશ થવાની તૈયારીમાં હતો. કોઈ કોઈ રહી ગયા હતા તે ખુશ થઈને ગાજી ઉઠયા અને ફોર્બ્સને ભોજની ઉપમા આપવા લાગ્યા.
"કરેલ કીર્ત્તિમેર દુનિયાંમાં તે દેખવા
ફાર્બસરૂપે ફેર, ભોજ પધાર્યો ભૂમિમાં.”
આનંદ પામેલા કવિયોએ કવ્યું કે
“કુથ્થા પુસ્તક કાપિને એનો ન કરિશ અસ્ત
ફરતો ફરતો ફાર્બસ ગ્રાહક મળ્યો ગૃહસ્થ.”
એ પ્રકારે ગુજરાતમાં થઈ રહ્યું. માજી રાજ્યના ત્રાસદાયક બળાત્કાર દૂર થયા હતા. લોકો જંપીને નિરાંતે બેઠા હતા. બધાને નવું નવું લાગવા માંડ્યું હતું. ફોર્બ્સ જેવા વિદ્વાન, ચતુર, ન્યાયી, પ્રજાહિતૈષી અને વિવેકી અધિકારીઓનો સત્કાર, માયા, અને મમતાએ લોકોનાં ચિત્ત શાંત કર્યાં હતાં, અને શાંતિને અંગે ઉત્પન્ન થતી કળા, કૌશલ્ય, વિદ્યા, સાંસારિક સુખ વગેરે વધવા માંડ્યાં હતાં. ફોર્બ્સ સાહેબ એ બધું વધારવામાં સાધન થઈ રહ્યા. જે સાધનથી પોતાના સ્વદેશનો ઉત્કર્ષ થયો હતો તે સાધનનાં બીજ અહિંયાં વાવવાનો પોતે આરંભ કર્યો. કર્નલ ફુલ્જેમ્સ, કર્નલ વાલેસ, અને રૈવરંડ પીરી આદિ ગૃહસ્થોને સામીલ રાખી પ્રથમ સન ૧૮૪૮ માં 'ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી’ સ્થાપી. *[૧] તેણે ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિ સારૂ આજ સુધીમાં કેટલું બધું કર્યું છે તે આ દેશમાં અજાણ્યું નથી.
- ↑ *પ્રથમ સ્થાપના થઈતે વખત સોસાઈટીનું કારભાર મંડળ નીચે મુજબ હતું:–
પેટ્રન
કમિટિ.
કેપ્ટન જી. ફુલ્જેમ્સ.
,, આર. વોલેસ.
ડબલ્યુ. એફ. કોર્મેક
રેવરંડ. જી. ડબલ્યુ. પિરિ.
એ. કે. ફોર્બ્સ ઇસ્કવાયર.
ઓ. સેક્રટરી.