આપણામાં આમાંનું કશું એ નથી. જો આપણે દૃઢતાથી કામ કર્યે જઈશું તો મને બીલકુલ શક નથી કે આપણને આગળ ઉપર આ બધું પ્રાપ્ત થશેજ, પરંતુ હાલ તરત તો દેખીતો વધારો બતાવવાના હેતુથી ભવિષ્યમાં થનારા સંગીન લાભનો આપણે ભોગ આપવો ન જોઈએ.' ફોર્બ્સ સાહેબના એક મિત્રે સોસાઈટી સંબંધી લખ્યું હતું કે સોસાઈટી આવું સારૂં કામ કરે છે તે જાણીને પોતે ખુશી થયા છે. અને 'સોસાઇટી અગાડી જતાં ઘણોજ ફાયદો કરશે તે નિર્વિવાદિત છે. પણ તેનાં ફળ આવતાં ઘણાં વર્ષ લાગશે. અઠવાડીએ અઠવાડીએ પત્ર કાઢવાનો વિચાર ઘણો સારો છે. પોતાની આજુબાજુ દુનિયામાં શું શું થાય છે તે જે લોકો જાણે અને પોતે જ્યાં જન્મ્યા ને ઉછર્યા છે તે સ્થળની બહાર શું છે તે જોવાની ટેવ માત્ર પડે તે ઘણો લાભ થયો ગણાય. બીજા જ્ઞાનની જીજ્ઞાસા સાનુકુળ સમયે ઉત્પન્ન થશે. ગુજરાતી પ્રજાના જુના અને કવિતાના ગ્રંથો એકઠા કરવા અને તેમનું સંશોધન કરવું એવો તમારો ઠરાવ મને બહુ ગમે છે. બેશક એ પુસ્તકોની શૈલી અને વખતે શબ્દો ધરાધરી હાલ વપરાતી શૈલી અને શબ્દો કરતાં જૂદાં હશે અને જેમણે ખાસ અભ્યાસ નહિ કર્યો હોય એવા દેશીને તો સમજાશેએ નહિ, તથાપિ આવાં પુસ્તકોનો નાશ થવો યોગ્ય નથી. પ્રાચીનપણાને લીધે જ હું આવાં પુસ્તકોને કિંમતી ગણું છઉં એમ નહિ પણ હાલના લખનારાઓ અર્વાચીન શેળભેળ શૈલીમાં પોતાના ગ્રંથો લખે તેના કરતાં, પોતાના દેશની જૂની શિષ્ટ શૈલી અને ભાષામાં લખે એ મને વધારે સારૂં લાગે છે.
ભાષાન્તર કરાવવામાં હાલ લોકોને ખરેખાત રૂચિકર થઈ પડે એવો ગ્રંથ મળવાની મહા મુશ્કેલી છે અને મૂળ ગ્રંથ ડહાપણ અને જ્ઞાનના ભંડાર જેવો હોવા છતાં પણ હાલના લોકોને રૂચિકર થઈ પડે એવો ન હોય તો તેનું ભાષાન્તર નકામું જ છે. હાલના દેશી જનમંડળની સમજશક્તિ, લાગણીઓ અને તેમની રૂચિ જાણવાની પહેલી જરૂર છે. ત્યારપછી તેમને યોગ્ય સાહિત્ય પૂરૂં પાડવું જોઈએ. ઘણી વાર જનમંડળને ગમશે અગર નહિ ગમે તેનો ખ્યાલ કર્યા વગર જે આપણને સારૂં લાગતું હોય અથવા આપણે