તો હજુ કોઈ સ્વપ્ન જોતો જાણે ઊભો છે. વિનોદબહેનની એ વેધક મીટ મંડાઈ ત્યારે એના ગાલ ઉપર જે લાલ લાલ રુધિર છલંગો દેતું હતું, એના અંગેઅંગમાં જે ધમધમાટ જાગ્યો હતો, તે હજુય નહોતાં વિરમ્યાં. આ તે કઈ જાતની ઊર્મિઓ એના દેહની પ્રત્યેક કરીને સિતારના તારની માફક ધ્રુજાવતી હતી !
શામળ પાછો મંદિરમાં ગયો. તેજુબહેનને ત્યાંથી પરબારી ઘેર મોકલીને પોતે ધર્મપાલજીની સાથે વાતો કરતો એમની સાથે ચાલ્યો. એ સચ્ચાઈથી ભરેલા છોકરાને જાણે કેમ કોઈ જગત-સુધારણાનો ઇલમ હાથ લાગી ગયો હોય તેવી ગાંડાઈથી એણે વાત શરૂ કરી :
“બે જ મિનિટ આપને એક વાત કહેવી છે.”
“પણ મારે જમવા જવું છે.”
“આપને અડચણ ન હોય તો હું આપની સાથે ચાલતો ચાલતો વાત કરું વાત બહુ જરૂરી છે.”
ધર્મપાલજીને આ તો લપ વળગ્યા જેવું લાગ્યું. “ઠીક, ચાલો, શું છે ?”
“મને અધરાતે પથારીમાં પડ્યાં પડ્યાં આ વિચારો આવ્યા છે, સાહેબ ! હું ઊંઘી શક્યો નથી. દિત્તુભાઈ શેઠને આપણે ઠેકાણે ન લાવી શકીએ, હેં પંડિતજી ?”
“શું ? દિત્તુભાઈને ઠેકાણે લાવવાનું ?” ધર્મપાલજી તો ઠરી જ ગયા.
“જી હા ! એ બહુ કુછંદે ચડેલ છે. આપણે એને બચાવી લેવા જ જોઈએ.”
“તારી વાત સાચી છે, શામળ ! પણ એમાં હું લાઈલાજ છું. દિત્તુભાઈ શેઠ વૈષ્ણવ છે. એના ઉપર તો એમના આચાર્યોની જ લાગવગ છે. આપણે એમને આપણા પંથમાં ભળવા ન લલચાવી શકીએ.”
“કેમ ?”
“કેમ કે એ શ્રીમંત છે. એને સદ્બોધ આપવા હું જાઉં તો વૈષ્ણવ