આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
120
સત્યની શોધમાં
 

“જી ના, સાચે જ હું નથી જાણતો, નથી સમજતો, કે મારા આવવાથી તમને શું સુખ થાય.”

બિન્દુ બિન્દુ પીતી હોય તેવી એકીટશે એ ઊભી ઊભી શામળને જોઈ રહી; પૂછ્યું, “કેમ, તમને નવા જીવનમાં રસ પડે છે ને ?”

“જી હા.”

“નીરસ જીવન તો એક મારે જ નસીબે લખાયું છે.”

“નીરસ ! આ ઘરમાં તમને જીવન નીરસ લાગે છે ?” શામળ તો સાંભળીને આભો જ બની ગયો.

“તમને આશ્ચર્ય લાગે છે, નહીં ?”

“આશ્ચર્યની વાત. પણ શા માટે એમ ? તમારે જીવનમાં શી ઊણપ રહી છે ? જે જોઈએ તે બધું જ છે, વિનોદબહેન !”

“હા; ને એ બધાંથી જ હું કટાળી ગઈ છું, શામળજી !”

શામળની સન્મુખ જીવનની એક નવી સમસ્યા ખડી થઈ. એ વિસ્મયથી જોઈ રહ્યો.

“હું સાચું જ કહું છું, શામળજી ! જેને જેને હું મળું છું તે તમામ મને સૂકાં, નીરસ, કંટાળો આપનારાં દેખાય છે – તેઓ બધાં જ ભોટ જેવી, રસહીન જિંદગી જીવે છે. ને મારે આંહીં શહેરમાં જ પુરાઈ રહેવું પડ્યું છે. ઓ શામળ ! હું સોનાને પાંજરે પડેલી પંખિણી જેવી છું.”

અનુકંપાનું એક મોજું શામળના અંતઃકરણમાં ઊછળી રહ્યું. એને કેટલાક વખતથી લાગેલું જ કે અંદરખાનેથી આ શ્રીમંત કન્યા સુખી નથી. એટલે આજે શામળને સારું નવું કર્તવ્ય જન્મ પામ્યું : આ સુંદરીને એના સદ્ભાગ્યની સાચી પ્રતીતિ કરાવી એની લક્ષ્યહીન જિંદગીમાં નવો રસ નિપજાવવાનું.

એણે કહ્યું : “ઓહો વિનોદબહેન, તમે વિચારી તો જુઓ, તમારે હાથે કેટલું મહાન લોકકલ્યાણ થઈ શકે તેમ છે ?”

“લોકકલ્યાણ ! કેવી રીતે ?”

“જુઓ – તમે મારી તેજુબહેનને ઉગારી લીધી. તમે એને કેટલી