“આપના પિતાને લગતું છે.”
“મારા પિતા ?”
“જી હા, એ કથા લાંબી છે.”
પછી શામળે પોતાના સમાજપ્રવેશથી લઈ છેલ્લા રહસ્યશોધન સુધીની વાત કહી સંભળાવી.
“ને તમે આ બધું ધર્મપાલજીને કહ્યું, શામળજી ?”
“જી હા.”
“એમણે શું કહ્યું ?”
“કહ્યું કે, આ બાબત સાથે મારે કશી જ નિસ્બત નથી.”
“હવે તમે શું કરવા ધારો છો ?”
“પ્રથમ તો આપના પિતાને મળીશ.”
“મારા પિતાને ?” વિનોદિની ચમકી ગઈ. મંદિરનો આ એક કારકુન શું લીલુભાઈની સામે ઊભો રહી એનો તાપ ઝીલી શકશે ? શબ્દ ઉચ્ચારી શકશે ?
“જી હા, આપના પિતા પાસે.”
“શા માટે ?”
“એમને બતાવવા માટે, કે એમની પ્રવૃત્તિ કેટલી અધમ છે.”
વિનોદિની ચોંકેલ નજરે તાકી રહી : “શું તમે મારા પિતાની સામે એના જાહેર જીવનની પ્રવૃત્તિ વિશે સવાલો કરશો ?”
“જરૂર, જરૂર. શા માટે નહીં ? બીજું હું શું કરું ?”
રેશમી રૂમાલથી ગાલને હાથ પર ટેકવી, વિનોદિની મેજ પર ઝળંબીને બેઠી, મોં રૂમાલમાં છુપાવ્યું. જાણે કશુંક ન સમજાય તેવું મંથન એના અંત:કરણમાં ચાલી રહ્યું છે.
“વિનોદિની !” શામળે પૂછ્યું, “મારા પર ગુસ્સો આવે છે ?”
“નહીં નહીં, શામળજી ! લગાર પણ નહીં.”
પછી એણે મોં બહાર કાઢ્યું. ચહેરો રાતોચોળ બની ગયો હતો. કહ્યું : “ભલે, મળો મારા પિતાને.”