આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
160
સત્યની શોધમાં
 

આવી પહોંચ્યા, શામળજી ? ઘણે દિવસે આવ્યા ! કહો, મને જલદી કહો, શું શું બન્યું ?”

આશ્ચર્યમુગ્ધ બનીને એ આખો પ્રસંગ સાંભળી રહી. “ખરેખર, શું તમે મારા બાપને ઝાડ્યા ? ખરેખર ? અને હરિવલ્લભ દેસાઈને સુધ્ધાં ? ખરેખર ? તમે ગભરાયા નહીં ? ગજબ, ગજબ હિંમત શામળજી ! વાહ, શામળજી ! ભારી બહાદુર !”

“પણ એ બધું જ સાચું નીકળ્યું !” શામળે આગ્રહભેર સત્યનો દાવો કર્યો.

“ખરું, પણ તમે એ સહુને મોઢામોઢ ચોડી શક્યા ! ગજબ હિંમત ! તમે થરથર્યા નહીં ?”

“ના, ના, પણ તેઓએ મને સમાજમાંથી કાઢી મૂક્યો.”

“ત્યારે હવે તમે શું કરશો ?”

“મને હજુ એ સૂઝતું નથી. એટલે જ મારે તમારી જોડે વાત કરવી છે.”

“પણ તમારો વિચાર શું કરવાનો છે ?”

“મારે તો એ લોકોને ઉઘાડા પાડવા છે.”

“નહીં, નહીં, નહીં, શામળજી, એવું કરવું ના છાજે તમને.”

“કેમ નહીં ?”

“કેમ કે – એમાં કશો સાર નથી.”

“પણ વિનોદિની –”

“નહીં નહીં શામળજી, એમાં દેખાવ સારો નહીં થાય. વળી આ તમે કરી રહેલ છો તે રીતે ખાનગીમાં જ એ લોકોને સમજાવવાની અસર પણ વધુ થશે.”

“પણ હવે સમજાવવા જેવું રહ્યું છે શું ?”

“એ તો આપણે વિચારી કાઢીએ.”

“અરેરે ! એ તમારા પિતા ને એ હરિવલ્લભ દેસાઈ, – એ બે હવે મારો શબ્દ પણ સાંખી શકે કે ?”