ઝીલી કાઢે, તો સાહેબ માને કે એ સાચું કહે છે.
શામળને પાછો બબલાદાદાની જોડે પૂરી દેવામાં આવ્યો. સાથીએ પૂછ્યું : “કાં, તારી વાતને બરાબર વળગી રહેલો કે, દોસ્ત ?”
“હા જ તો.”
“તો તો હાલઘડીએ કાંક જાદુ થાશે.”
– ને જાદુ થયું. કલાક પછી ફોજદારે આવીને ચાવી ફેરવી. બબલાને તથા શામળને એક ખૂણે લઈ ગયા. શામળને પૂછ્યું : “છોકરા, બોલ, તારે દિત્તુ શેઠની સાથે કાંઈ અદાવત છે ?”
“ના. શા સારુ હોય ?”
“તને છોડી દઈએ, તો આ કિસ્સા બાબત તારી જબાન બંધ રહી શકશે ?”
“જરૂર – જો તમે કહેતા હો તો હું એક શબ્દ પણ ન ઉચ્ચારું.”
“શાબાશ ! ને બબલા, તું આમ જો. તારો ગુનો તું સમજે છે ને ? તું દસ વરસના કાળાપાણીમાં ટિપાઈ જવાનો છે, જાણે છે ?”
“હા જ તો. જીવતી કબર.”
“તો પછી આપણે સાટું કરવું છે ?”
“શી રીતે ?”
“તારે લક્ષ્મીનગર છોડી જવું, ને આ ‘નંદનવન’વાળા મામલા વિશે એક હરફ પણ ક્યાંય ન કાઢવો. છે કબૂલ ?”
“કબૂલ.”
“વાહ વાહ ! આ લે ત્યારે આ તારાં ઓજારો. પાછળની બારીના સળિયા ખેસવીને પરોઢિયા પહેલાં રફુચક્કર થઈ જવાનું. આ લે રૂપિયા 5૦ રોકડા ખરચીના. આ જુવાનને પણ સાથે લઈ જવો. નવીનાબાદ જઈને એને ત્યાં ગુમ કરી દેવો. સમજાયું ?”
“બરાબર સમજાયું.”
“તો પછી બસ, કામ શરૂ કર.”
ફરી વાર પાછી પોલીસ-જેલ ઉપર ચુપકીદી પથરાઈ ગઈ.