આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇતિહાસ


સત્તરમી સદીમાં હિંદુસ્તાનમાં ચાલતા કાવાદાવા અનેક પ્રકારના હતા. અગરજો દિલ્લીના તખ્તપર પ્રતાપી મોગલવંશના રાજાઓ બિરાજતા અને તેમની હાક ચોમેર ગાજી રહી હતી, તોપણ નાનાં નાનાં રાજ્યો પણ પોતાનો સત્તાપ્રતાપ દાખવતાં હતાં. કોઈ કંઈ રીતે તો કોઈ કંઈ રીતે એક બીજાના વિરોધી હતા, અને તેવા જ કોઈ કારણસર સુરતના નવાબને પણ કોઈ પક્ષ તરફથી આપત્તિ વેળાએ આશ્રય મળે તેમ નહતું. ત્યારે શિવાજી-કે જેને પૈસાની સૌથી પહેલી જરૂર હતી, તે કેાઈ તેવાં ઝાહોઝલાલીવાળાં નગરને લૂટવાને પછાડી કેમ પડે ?

બહિરજીને સુરતની તપાસમાટે મોકલવાનો હેતુ એ જ હતો કે કોઈ પણ પ્રકારે નાણાં મેળવવાં. સુરતનો હાકેમ નબળો હતો. તેને સહાય કરનાર કેાઈ નહતું; અને શિવાજીએ પૂરતી તૈયારી કીધી હતી. તેને ખોવાનું કંઈ જ નહિ હતું, મેળવવાનું જ હતું. માત્ર જોવાનું એ જ હતું કે, ક્યાંથી વધારે મત્તા મળશે તે જ. તેણે પોતાના નાયકને ઘણું શીખવી મોકલ્યો હતો. અગરજો નાયક કુશળ હતો, તેને શિવાજીના બોધની કંઈ જરૂર નહતી, તોપણ જે હેતુ શિવાજીએ રાખ્યો હતો, તેને માટે તેને જેટલી કાળજી હોય, તેવી બીજાને ન હોય, માટે ટોકી ટોકીને તેને મોકલ્યો હતો. આપણે જોયું કે જે દક્ષિણી દુમાલના હનુમાનની જાયગામાં આવીને બેઠો છે, તે એક મહા અઘોર કાવતરાંના કામ માટે આવ્યો હતો. પણ એ બેરાગી કેાણ ?

* * * *

બેરાગી સુરતનો જ રહીશ હતો. તે વેદમાં કર્મકાંડ સૂધી સારી રીતે પહોંચેલો હતો. જાતે ઘણો નિખાલસ તેથી પૂર્વાશ્રમમાં કંઈક સહેજસાજ વેપાર કરીને પોતાનો નિર્વાહ કરતો. તેની ન્યાતિમાં કન્યાની અછત તેથી કુંવારો હતો અને ચાળીસ વર્ષની ઉમ્મર થઈ તોપણ પરણ્યો નહતો; અને તે પછી પરણવાની આશા પણ નહતી. તેટલામાં ભોગ ચોઘડીએ અકસ્માત્ પ્રસંગે એક તરુણ વિધવાનો પ્રસંગ થયો. બાઈબહુ ક્રાંતિવાળી, લજજાળ અને શિયળ સાચવનારી હતી. નાનપણમાં જ તેનાં માબાપ ગુજરી ગયાં