'ગમે તેણે કહ્યું, પણ તમારે અને વહુને અણરાગ તો નથી ને ?’
‘શું તુંયે ઘેલી વાત કરે છે ?'
‘એમાં ઘેલી વાત શી છે ? અણરાગ હોય તો હું મનાવી લાવું.’
'તું?'
‘હા, વળી. આમ દુ:ખ ક્યાં સુધી ખમાય ?'
'મને કાંઈ દુ:ખ નથી.’
‘હું જાણું ને આ ઉંમરે શું થાય તે !’
‘અમે ભણેલા જુદા કહેવાઈએ.’
‘જાણ્યા હવે તમને ભણેલાને ! બધા માનવી તો ખરા ને ?’
મજૂરણ રતન કોઈ સત્ય ભાખતી હતી, નહિ ? ભણતર, સંસ્કાર, ઓપ, કેળવણી સહુ આપણા જીવનભાવોને રંગ ચઢાવતાં હશે. એ ભાવોનો નાશ કરવાની, એ ભાવોને બદલવાની, એ ભાવોને ભિન્ન સ્વરૂપ આપવાની કેટલી ઓછી શક્તિ એમાં રહી છે ?
છતાંય સંસ્કાર, ઓપ અને કેળવણી ધીમે ધીમે - અત્યંત ધીમે - એ પ્રાથમિક ભાવોને જરા જરા વાળતાં ન હોય એમ પણ છેક કેમ કહેવાય ?
‘ત્યારે જો, હું તને કહું. મારી પત્નીને હું ગમતો નહિ હોઉં.’ પરાશરે કહ્યું.
‘તમે ના ગમો ?'
‘હું જોઈએ એટલો રૂપાળો નથી.’
‘હં. જાણે રૂપમાં જ બધું આવી ગયું.’
‘કદાચ એને જોઈએ એટલું સુખ હું ન આપી શકું.'
‘રાજપાટ તો એ રાણીને નથી જોઈતાં ને ?’
‘ના; પણ ધણીનું ધણીપણું ભણેલી છોકરીઓને ન ફાવે.'
'તે તમારી પાછળ તો કૈંક ભમે છે !’
‘પણ મારી વહુ નથી ભમતી ને ?’
‘એક વખત બોલાવો તો ખરા ?'
‘એને ન આવવું હોય તો કેમ કરી બોલાવાય ?’
‘તમે તે મરદ છો કે બૈરી ? ઘસડી લાવો.'
પરાશર હસ્યો. ખુદ સ્ત્રી જ સ્ત્રી સામે જુલમ કરવા પુરુષને ઉશ્કેરે છે ! પોતાના ઉપર જુલમ થાય એ સ્ત્રીને ગમતું તો નહિ હોય ? પુરુષની ક્રૂરતા માણવાની કળા સ્ત્રીજાતિએ યુગયુગના અભ્યાસથી કેળવી છે એમ