આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮: શોભના
 


‘ઘણાને એવું હોય છે.’

મિત્રોએ આટલી જ વાત આગળ વધારી. હવે ? ક્યાંથી શી વાત કરવી તે પ્રશ્ન મૂંઝવણભર્યો તો હતો જ ને ?

‘કહે તારે શાની ચોકસાઈ કરવી છે ?’ શોભનાએ થોડી વારે પૂછ્યું.

‘હું એ જોઈ રહ્યો છું કે લગ્ન તારી બંધનદીવાલ બની ગયું છે.’ પરાશરે કહ્યું. શોભના પરાશરના કથનનો ઊંડો અર્થ પણ વાંચી શકી. ભાસ્કરની ગાઢ મૈત્રીમાં એ લગ્ન અંતરાયરૂપ હતું એમ પરાશરના કથનનો ઉદ્દેશ હતો. એમ. શોભનાને લાગ્યું.

‘આપણે વધારે સ્પષ્ટ બનીએ. હું તારી પત્ની હોઉં એમ તું ઈચ્છતો નથી.’

‘તું જુદી ઢબે એ વાત મૂકે છે.’

‘અર્થ એકનો એક જ થાય છે ને ? તો હું એમ માની લઉં તું મને ચાહતો નથી અને મને કદી ચાહી શકીશ નહિ.’

પરાશરે એ કથનને સંમતિ આપી નહિ.

‘એથી ઊલટું જ કારણ હોય તો ?'

‘તું મને ચાહે છે માટે મારાથી છૂટવા માગે છે ? મને ન સમજાયું.

‘એમ જ. તને યાદ છે - મેં એક પત્ર લખ્યો હતો તે ?' પરાશરે પૂછ્યું.

શોભના ઊભી થઈ. એક કબાટ ઉઘાડી તેમાં મૂકેલી એક નાની પેટીનું તાળું ખોલી તેણે એક કકડામાં બાંધેલા કાંઈ કાગળો બહાર કાઢ્યા.

'તેં બે કાગળો લખ્યા હતા. પહેલાં કાગળની વાત કરે છે કે બીજાની?' શોભનાએ પૂછ્યું.

‘પહેલાંની.'

‘જો, આ હોય ? પાછો જોઈએ, નહિ ? એક ફટકી ગયેલા રંગવાળું પરબીડિયું શોભનાએ આગળ ધર્યું.

‘તારે પાછો આપવો હોય તો આપ. હું માગતો નથી.’

‘ત્યારે ?' પરબીડિયામાંથી કાગળના એક પછી એક ટુકડા બહાર કાઢતાં શોભનાએ પૂછ્યું.

‘એ પાંચ વર્ષ ઉપરના પત્રમાં જે લખ્યું હતું તે આજ પણ સાચું છે.’

‘તું મારી મશ્કરી કરવા આવ્યો છે ?’ શોભનાના મુખ ઉપર વિકળતા દેખાઈ.

‘ના, જરાય નહિ.’