પાટણનો નવો રાજા સિદ્ધરાજ જયસિંહ પોતે છે. ભારે પ્રજાપાલક છે, ભારે પરગજુ છે, ભારે પરાક્રમી છે.
લોક બધા કહેવા લાગ્યા :
'ખરેખરો ભાંગ્યાનો ભેરુ છે ! રાજા હો તો આવા હજો !'
એટલામાં સિદ્ધરાજ દોડતો આવ્યો ને બોલ્યો :
‘વૈદરાજ ! ચાલો. મામા મદનપાળ આખરી ઘડીએ છે.'
‘તે મરી કાં જતા નથી ?' લીલા વૈદે અંદરથી રાજી થતાં કહ્યું.
'ના, ના. રાજા અને વૈદની ફરજ સમજો છો ને ! કોઈ ચાર મલ્લોએ મારી મારીને - ગુંદી ગુંદીને એમનો રોટલો ઘડી નાખ્યો છે !'
'જાણું બાપ મારા ! મલ્લકુસ્તીમાં મારો જયસિહ હાથીનેય હરાવે એવો છે. 'ને વૈદરાજ ઊભા થયા.
બધા તો પોતાના પરદુ:ખભંજન રાજવીનો જયજયકાર બોલાવવા માગતા હતા, પણ રાજાએ નાકે આંગળી મૂકે કહ્યું : 'રોગી પાસે શાંતિ સારી. જુવાન સાજો થાય ને માથે પાણી નાખો ત્યારે કહેવરાવજો. રાજ ભેટ મોક્લશે.'
‘જીવથી વધુ સારી ભેટ કઈ હતી ? હે રાજા ! અમારા ચામડાના જોડા સિવડાવીને તમને પહેરાવીએ તોય ઓછું છે.' ઘરનાં બધાં માણસોએ પગમાં પડતાં કહ્યું.
પણ સિદ્ધરાજને જયજયકાર ગમતા નહોતા. એ તો વૈદરાજ સાથે આગળ નીકળી ગયો હતો.
બંને જણા દોડતા મામાને ઘેર પહોંચ્યા. પણ મામાનો પ્રાણ પરવરી ગયો હતો.
સિદ્ધરાજે મામીને ખરખરો કરતાં કહ્યું : 'મામા સાંજે તો સાજા-સારા હતા ને એટલામાં શું થયું ? મામા બીજા થવા નથી.'
મામી કહે : ન જાણે કેમ ! કોઈ ચાર જણ મળવા આવ્યા હતા. ખાનગી કામ છે, એમ કહી બધા ગુપ્ત ખંડમાં ગયા. ગયા તે ગયા, પણ ઘણી વાર સુધી બહાર ન આવ્યા, એટલે હું અંદર ગઈ. જઈને જોયું તો મરેલા. નથી હથિયારનો ઘા, નથી વાગ્યાની નિશાની. મૂઢ માર પડયો લાગે છે !'