સાળવીની હાટોમાં સાળો પર પાટણના પટોળાં વણાતાં હતાં, ને દેશીડાની ઘટે કપૂરિયાં, કસ્તૂરિયાં, ચોકડિયાં, દાડમિયાં, પટોળાં, ઘરચોળાં, હંસવડી, ગજવડી, પાંભડી ને લોબડી વેચાતાં હતાં.
'માણસ પહેલાં પહેરે કે પહેલાં પીએ ? કપડાં ગમે તેટલાં સારાં હોય, પણ સ્નાન વિના શે શોભે ?' જીવરાજ બબડ્યો.
'પાણી જ પરમેશ્વર ભાસે છે.' મોટા અસવારે કહ્યું.
સાબૂગરને ત્યાં સાબૂ, ભૂતડો, ધોળી માટી, પીળી માટી, ગેરુ, અરીઠાં, આંબળાં, ચીકાખાઈ વગેરે વેચાતાં હતાં.
'પાણી વગર એ તમામ નકામાં-એકડા વિનાનાં મીડાંની જેમ !' જીવરાજ બબડ્યો અને પાટણની શોભા જોતો રાજમહેલમાં પ્રવેશ્યો. સાથેનો અસવાર ડેલીએ ઊભો રહી ગયો.
જીવરાજે અંદરના ખંડમાં પ્રવેશ કર્યો કે રાજમાતા મીનળદેવી સામે જ ઊભાં હતાં.
'બેટા જયસિંહ !' માતાએ કહ્યું : 'કુશળ છે ને ? તારી જ રાહમાં હતી : મારે એક વાત કરવી છે.'
જેને આપણે જીવરાજ સમજતા હતા, એ રાજા સિદ્ધરાજ પોતે હતો. પોતાના પ્રદેશનો પ્રવાસ ખેડીને એ પાછો ફરતો હતો.
'મા ! મારે પણ તને દુ:ખની એક વાત કહેવી છે.'
'દીકરા ! પહેલી તારી વાત, પછી મારી વાત.' માતાને પડછંદ પરાક્રમી સિદ્ધરાજ હજી નાનો જ લાગતો. ‘તું તો મીનલની મહત્ત્વાકાંક્ષાઓનું જીવતું સ્વરૂપ છે.'
'મા ! પટણીઓ હવે કુંવારા રહેશે. પાટણના કૂવા હવે ગોઝારા થશે.'
'કાં, બેટા ?'
'પાટણમાં પાણીનું દુ:ખ છે. હવેથી કોઈ માબાપ પોતાની દીકરી પાટણમાં નહિ પરણાવે. પરણેલી વધૂઓ કંટાળીને કૂવા પૂરશે. અને મા.. ખેડૂતો પણ ખેતી છોડીને ભાગી જશે; તલવાર લઈ ચાકરી નોંધાવશે. મા, તલવાર કંઈ જળ-અન્ન ઉપજાવી શકે ખરી ? પ્રજાનું પેટ પૂરી શકે ખરી ?'