આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેલ્લી પ્રાર્થના

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું;
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું -
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું,જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે;
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?;

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી - આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઊંચા આપણા આશા-મિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

[૧૯૩૦. સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં પાયા વગરના આરોપસર મુકદમો ચાલેલો ત્યારે ધંધુકા ખાતેની અદાલતમાં ગાયેલું તે.]

સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મારા પર પાયા વગરના આરોપસર મુકદ્દમો ચાલેલો, ત્યારે, બે વર્ષની સજા કરનાર મૅજિસ્ટ્રેટ મિ. ઇસાણીની ધંધુકા ખાતેની અદાલતમાં એમની અનુજ્ઞાથી ગાયેલું તે.

‘સૌરાષ્ટ્ર'ના તા. 3-5-1930ના અંકમાં પ્રગટ થયેલો ધંધુકાની અદાલતનો અહેવાલ :