આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમનમનઃ ૨૪૧
 

‘હું? હું શું સુરેન્દ્ર પાછળ ઘેલી થઈ હતી? તારી ભૂલ થાય છે. મધુકર ! હું કદી કોઈ પુરુષ પાછળ ઘેલી થાઉ જ નહિ.’ જ્યોત્સ્નાએ કહ્યું. તે જાણતી હતી કે કદાચ તે પોતાની જાતને છેતરતી હોય. મધુકરે પણ તેને એમ જ કહ્યું :

‘તું ભૂલી ગઈ લાગે છે. મારા તરફ તેં જોયું ન હોત તો સુરેન્દ્ર તને ક્યારનો ઊંચકી લઈ ખાડામાં નાખી આવ્યો હોત. એણે હવે એ અખતરો શ્રીલતા ઉપર અજમાવવા માંડ્યો છે - તને મેં વખતસર એની ચુંગાલમાંથી ખસેડી લીધી એટલે !’ મધુકરે સ્પષ્ટતા કરી.

‘શ્રીલતા ઉપર, સુરેન્દ્ર ઉપર અને મારી ઉપર તું ખોટો વહેમાય છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘જેમ તું સુરેન્દ્રને અહીંની સમાજસેવાના ઢોંગમાં સહાય કરતી હતી તેમ હવે શ્રીલતા કરે છે.’

‘એવું શા ઉપરથી તું ધારે છે ?’

‘કહું શા ઉપરથી ! જે નવનીત શેઠને ત્યાં એને હાલમાં નોકરી મળી છે. એ શેઠનું એવું કહેવું હતું કે તે અને શ્રીલતાએ મળીને સુરેન્દ્રને એ સ્થાને ગોઠવી દીધો છે ! એટલું જ નહિ, પરંતુ એને રોજ ને રોજ પગાર આપવા માટેની વ્યવસ્થા પણ તમે જ કરી દીધી છે.’

‘એ તને કોણે કહ્યું?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘જેણે કહ્યું તેણે. હું આ શહેરમાં છેક અજાણ્યો તો નથી જ.’ મધુકરે જવાબ આપ્યો.

‘તું અજાણ્યો રહી શકે જ નહીં. કદાચ નવનીતભાઈએ જ તને કહ્યું હશે - ક્લબમાં.’

‘એમ પણ હોય... હું તો માત્ર વિનંતી કરી શકું... માહિતી આપી શકું... સુરેન્દ્ર અને શ્રીલતા બંનેમાં જેટલો વધારે વિશ્વાસ રાખીશ એટલી તું દુઃખી થઈશ, જ્યોત્સ્ના !’

‘જો ને મધુકર ! સુરેન્દ્ર અંતે મિત્ર તો ખરો જ ને ? તારો તેવો જ અમારો. એને મુશ્કેલીમાં મદદ તો કરવી જ જોઈએ ને? તું હોય તો તું એમ જ કરે ને ? ખરું જોતાં સુરેન્દ્રના આગ્રહથી જ તું અમારા ગૃહમાં પ્રવેશ પામ્યો.’

‘એ બદલ હું સુરેન્દ્રનો આભાર માનીશ.’ જરા હસીને મધુકરે કહ્યું અને વાતને પલટો આપવાની એણે યુક્તિ કરી.