આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘોડેસવાર પોલીસો થોડે છેટે ઘોડાં દોરીને ઊભા હતા, તેઓ એકાએક ઉતારી આવ્યા. તેમાંના એક સફેદ દાઢીવાળા નાયકે કહ્યું :

“સાહેબ બહાદુર સૈયદ છું, મેં સરકારની ચાકરીમાં મોવરના, વાલાના, રાયદેના વગેરેના હંગામો ખેડયા છે. સાહેબ લોકો પણ અમારી સાથે સામેલા હતા. શત્રુની લાશ પ્રત્યે કોઈએ બેઅદબી કરી નથી. અમારો મજહબ અમને માના ધાવણમાંથી પણ મોટામાં મોટી એક જ વાત પિલાવે છે, કે આદમી ઝીન્દો છે ત્યાં સુધી દુશ્મન : મૂવા બાદ એનું બિછાનું માલેકને ખોળે થાય છે. એને અદબ સાથે અવલમંજલ પહોંચાડવાની અમારી ફરજ છે.”

“આ ઓરત તમને ઉશ્કેરે છે, કેમ?“ સાહેબે ખમચી જઈને કહ્યું.

“એ ઓરતે લાશને બેઠક કરાવી હતી,” સૈયદ સવારે સમજાવ્યું: “તે તો મોતની મર્દાઈ બતાવવા જીવતો ઇન્સાન કુત્તો થઈને ભલે ભમે, પણ એના શબને કોઈ ધૂળ ના ચટાવી શકે.”

“બાબા લોગ!” નાનેરા સાહેબે ગિસ્તના ઉશ્કેરાટ નિહાળીને શાંતિના શબ્દો છાંટ્યા: “તમારું કહેવું ખરું છે. એક બેલગાડી મેળવી લાવો. આપણે લાશને રાજકોટ લઈ જશું. અહીંથી તો લાશને ઝોળી કરીને ઉઠાવી લઈએ."

પ્રાંત-સાહેબને પોતાનો પરાજય સમજાયો. નાકની અંદર ઊતરી જતા અવાજે એણે નાના સાહેબને કહ્યું: "વિલિયમ્સ, આ કુત્તાઓ જો અહીં ન હોત હો તો મારે આ ભયંકર ઓરતને એક - ફક્ત એક જ લાત મારી લેવી હતી. મને તૃપ્તિ થઈ જાત."

"તારી ક્ષુધા જ તમારી પાસે આવું બોલાવે છે, હૉટસન! નહિ તો થોડા જ કલાકોમાં તું આપણા મહાન એમ્પાયર (સામ્રાજ્ય)ની આબાદીનો પ્રશ્ન કેમ ભૂલી જાત?"

'આપણા મહાન એમ્પાયર' એ ત્રણ શબ્દોએ ત્યાં ગાયત્રીના મંત્રની સિદ્ધિ સાબિત કરી, ખરી વાત એ હતી કે સાહેબનાં છેલ્લાં બે ખાણાં બગડ્યાં હતાં. ભૂખ સ્વભાવને બગાડાનારી હતી. સિપાઈઓએ જ્યારે લાશને અદબભેર એક ઝોળીમાં ઉઠાવી ત્યારે પ્રાંત-સાહેબે પણ મૃત્યુના માનમાં પોતાની ટોપી ઉતારી.

ઝોળીને પડખે પડખે લાશના માથાને ટેકો આપતી ઓરત ચાલી. કેટલાક સિપાઈઓએ બીજી લાશને પણ ઉઠાવી. પછવાડે ગોરાઓ ઘોડા દોરતા ચાલ્યા.

૧૫૦
સોરઠ તારાં વહેતાં પાણી