હતો. એ જમાનાએ કાંટિયા તેમ જ બ્રાહ્મણ-વાણિયાના ભેદ જ ભાંગી નાખ્યા.
એ જમાનાનો પ્યાલો પીનાર મહીપતરામે વડલા-મેડીના ઝાડવાંને વટાવી જઇ રાતના બીજા પહોરે એક નાના ગામડાની અંદર એક ઘર ઊઘડાવ્યું. ફકીરનો વેશ ઉતારી પોતાના કપડાં ચડાવ્યા. ભાવર જુવાન નીચે બેસીને મહીપતરામના પગની પિંડીઓ ઉપર કાળા 'બાંડિસ' (બેન્ડેજ) લપેટી રહ્યો હતો, ને મહીપતરામ ઝુલેખાના શા સમાચાર લાવ્યા છે તે જાણવા તલપાપડ થઇ રહ્યો હતો.
મહીપતરામે પૂછ્યું : "અલ્યા, તારા વંશમાં કોઇ પીર ઓલિયો પાકેલો ખરો કે?"
"હા જી; મારો દાદો ભરજુવાનીમાં કફની ચડાવી ચાલી નીકળેલા." જુવાન ભાવરે છાતી ફુલાવીને જવાબ દીધો.
"શા કારણે?"
"મારી દાદીની જુવાનીમાં એક ભૂલ થઈ ગયેલી તેને કારણે."
"હવે હું સમજી શક્યો."
"શું સાહેબ?"
"આજની મારી હાર."
"હાર? કોનાથી?"
"તારી રાંડથી."
"શી રીતે?"
"મેં તારી સિપઈગીરી ને દિલાવરી ગાઇ. એણે તને 'બાયલો' કહ્યો."
ભાવરે નિઃશ્વાસ નાખ્યો. મહીપતરામે કહ્યું : "ને મનેય હવે ઘડ્ય બેસે છે."
"શાની?"
"તને ઝનૂન ન ચડ્યું તે વાતની."
ભાવર ભય પામ્યો. એના દિલના ઊંડા ઊંડા કૂવાને કાંઠે ઊભીને મહીપતરામ જાણે પાણી પારખતા હતા.
"ને એને હવે સુખદુઃખની લાગણી નથી રહી. દરબારના દીકરીઓને કેળવે છે, ને હિંદુનાં શાસ્ત્રો સાંભળે છે. એની ચિંતા કરીશ મા. ને હવે કોઇક મીરાં-દાતાર જગ્યાએ ચાલ્યો જજે."
"દરબારને દીઠા?"