આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરંતુ, કીનકેઇડ સાહેબ જેવા અનુભવી અને ઇતિહાસ-રસિક સીવીલીયને પણ પોતાના અમલદારી દૃષ્ટિબિન્દુને વશ બની જઈ 'Outlaws of Kathiawar' નામના પુસ્તકમાં કાઠીઆવાડી બહારવટીયાનું જે હાસ્ય- જનક, ઉપરછલું અને પામર ચિત્ર અાંક્યું છે, તે તથા તેનાં જેવાં અન્ય એકપક્ષી ચિત્રોની પ્રામાણિકતા જૂઠી પાડવાની પણ હું જરૂર સમજું છું. વળી મારો આશય તો માત્ર બહારવટીયાનો જ નહિ, પણ એ પ્રત્યેકની આસપાસ છવાયેલા લોક-જીવનનો ઇતિહાસ પણ અજવાળે આણવાનો છે. વિશેષ તો મારો ભવિષ્યનો પ્રવેશક બોલશે. અને હજુ તો જોગીદાસ, જેસો વેજો, રામ વાળો, જોધો માણેક વગેરે જોગી જેવા બહારવટીયા બાકી છે.

પ્રથમાવૃત્તિમાં અધુરી રહી ગયેલી એક ફરજ બજાવી લઉં: આ વાતોના સંશોધનમાં ભીમા જતના કુટુંબી ભાઈશ્રી રાણા અાલા મલેકે મને સારી મદદ કરી છે. એ બહાદૂર ભાઈએ કાઠીઆવાડ એજન્સી પોલિસમાં બહારવટીયાનો પીછો લેનાર બાહોશ અધિકારી તરિકેની ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અત્યારે એ ભાઈ જામનગર રાજ્યમાં ફોજદાર છે. જૂના કાળની મર્દાનગીનો, પડછંદ દેખાવડી શારીરિક સંપત્તિનો, અને નેકીનો એ જોવા જેવો નમૂનો છે. એનો હુ આભારી છું. બીજા મદદગાર તે અકાળા ગામના રહેવાશી ભાઈશ્રી વાલજી ઠક્કર છે. એમની ઝીણી દૃષ્ટિ, અને ધીરી ઠાવકી વાણીમાં વિવેકભર્યું આબાદ વર્ણન કરવાની એની શૈલી મને ઘણી ગમી છે. તે ઉપરાંત ભાઈશ્રી ગગુભાઈની હેતભરી અને કીંમતી સહાય તો અવારનવાર મળતી જ રહે છે.

સૌરાષ્ટ્ર સાહિત્ય-મંદિર

રાણપુર : તા. ૨૪ : ૧ : ૨૮

સંપાદક