ઈંદરજી ભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢ્ઢો ઈંદરજી ડગુ મગુ પગલે કચેરીમાં ગયો. શેઠને ભાળતાં જ સમૈયાએ દોટ દીધી :
“ઓહો કાકા ! આજે અચણો ખપ્યો ? [આપને આવવું પડયું ?]”
“હા સમૈયા ! બીયો ઈલાજ ન વો. [બીજો ઈલાજ નહોતો.]”
“કાકા ! ચ્યો, ફરમાવો. ”
“સમૈયા ! હાથી હરાડો થીયો !”
“કાકા, આંઉ બંધીનાસી.” [હું બાંધી લઉં છું.]
હાથી હરાયો થયો છે, તો એને હું બાંધી લઈશ: એટલી જ સમશ્યા થઇ. ઈંદરજી શેઠ દુકાન પર ગયા. ને દરબાર ન્હાઈને મંદિરમાં પહોંચ્યા. પાંચ માળા ફેરવી. પછી બે હાથ જોડીને બોલ્યા :
“હે ધજાવારા ! તુંમે જો સાચ વે, તે મુંજો પૂતર ત્રે ડિમેં મરે, નકાં આંઉ મરાં !” [ હે ધજાવાળા ! તારામાં સાચ હોય, તો મારો પુત્ર ત્રણ દિવસમાં મરે, નહિતર હું મરૂં !]
ત્રીજે જ દિવસે એ જુવાન દીકરા મૂળને જમનાં તેડાં આવેલાં.
આવા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસદારોની આ વાર્તા છે.
સીત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળીયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબો યે નથી. ગામની જગ્યા ઉપર જમીન ખેડાય છે : દ્વારકાથી દોઢ બે ગાઉ જ આઘે :
એ અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક નામના બે ભાઈઓ, ઓખામંડળના વાઘેરોમાં ટીલાત ખોરડાના